મહારાણા પ્રતાપ
મહારાણા પ્રતાપ ( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઈ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ બાદશાહ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો. એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જીવંતબાઈના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો.[૧]
મહારાણા પ્રતાપ | |
---|---|
મેવાડના મહારાજા | |
શાસન કાળ | ૧૫૬૮-૧૫૯૭ |
જન્મ | મે ૯, ૧૫૪૦(જેઠ સુદ ત્રીજ) |
જન્મ સ્થળ | કુંભલગઢ, જૂની કચેરી, પાલી, રાજસ્થાન |
અવસાન | જાન્યુઆરી ૧૯, ૧૫૯૭ |
અવસાન સ્થળ | ચાવંડ |
અંત્યેષ્ટિ | ચાવંડ |
પૂર્વગામી | મહારાણા ઉદયસિંહ(બીજા) |
વંશ/ખાનદાન | સૂર્યવંશી, રાજપૂત |
પિતા | મહારાણા ઉદયસિંહ(બીજા) |
માતા | મહારાણી જયવંતાબાઇ |
સંતાન | ૩ પુત્રો અને ૨ પુત્રીઓ |
ધર્મ | હિંદુ |
હલ્દીઘાટીનું યુદ્ધ
૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૨૦૦૦ રાજપૂતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિંંહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચૂકેલા મહારાણા પ્રતાપને શક્તિસિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અકબરે બધા પ્રયાસો કર્યા.
આ કપરા દિવસોમાં ભામાશાહે મહારાણાના ૨૫,૦૦૦ રાજપૂતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપ્યું હતું.
સફળતા અને અવસાન
ઇ.સ.૧૫૭૯થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મુગલ શાસિત પ્રદેશોમાં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પરથી મોગલોનો દબાવ ઘટી ગયો અને આ તકનો લાભ ઉઠાવી મહારાણાએ ઈ.સ.૧૫૮૫માં મેવાડમુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા. મહારાણાની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણાનું આધિપત્ય સ્થાપિત થઈ ગયું. મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા, તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ એટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ. બાર વર્ષના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઈ પરિવર્તન કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઈ.સ.૧૫૮૫માં થયો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્યની સુખ-સાધનામાં જોડાઈ ગયા, પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ તેમની નવી રાજધાની ચાવંડમાં તેમનું અવસાન થયું.[૨][૩]