જુનાગઢ
જુનાગઢ કે જૂનાગઢ (ઉચ્ચારણ (મદદ·માહિતી)) (અંગ્રેજી: Junagadh) ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં "જીર્ણગઢ" તરીકે કર્યો છે.[૪] જુનાગઢનો સામાન્ય અર્થ "જૂનો ગઢ" થાય છે. જુનાગઢ રજવાડાનો ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ ભારત સંઘમાં સમાવેશ થયેલો.
જૂનાગઢ | |
---|---|
શહેર | |
ઉપરથી: જુનાગઢ શહેરનો દરવાજો, નરસિહ મહેતા, ગિરનારની ટેકરીઓ, મહાબત મકબરો | |
અક્ષાંશ-રેખાંશ: 21°31′12″N 70°27′47″E / 21.520°N 70.463°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જુનાગઢ જિલ્લો |
સરકાર | |
• માળખું | જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન |
• મેયર | ધીરુભાઇ ગોહેલ[૧] |
• મ્યુનિસિપલ કમિશ્નર | રાજેશ એમ તન્ના[૨] |
• વિધાનસભ્ય | સંજય કોરડિયા |
• સંસદસભ્ય | રાજેશ ચુડાસમા |
વિસ્તાર | |
• કુલ | ૧૬૦ km2 (૬૦ sq mi) |
વિસ્તાર ક્રમ | ૭મો |
ઊંચાઇ | ૧૦૭ m (૩૫૧ ft) |
વસ્તી (૨૦૧૧)[૩] | |
• કુલ | ૩,૧૯,૪૬૨ |
• ક્રમ | 137 |
• ગીચતા | ૨૦૦૦/km2 (૫૨૦૦/sq mi) |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૬૨ ૦૦X |
ટેલિફોન કોડ | ૦૨૮૫ |
વાહન નોંધણી | GJ-11 |
ભાષા | ગુજરાત, હિંદી |
વેબસાઇટ | www |
ઈતિહાસ
જૂનાગઢ શહેરનો પ્રાચીન ઇતિહાસ છે. મૌર્ય વંશના રાજા ચંદ્રગુપ્ત જૂનાગઢના શરૂઆતના રાજાઓમાંના એક હતા. રાજા ચંદ્રગુપ્તે ઈ.સ.પૂ. 319 ઉપરકોટનો કિલ્લો બનાવ્યો હતો. ઉપરકોટ મૌર્ય સામ્રાજ્યનો અભિન્ન ભાગ બની ગયો હતો, પરંતુ આખરે તેને 300 વર્ષથી વધુ સમય માટે છોડી દેવામાં આવ્યો હતો. અનુગામી રાજાઓએ ઈ.સ.પૂ. 976 આસપાસ ઉપરકોટને ફરીથી સક્રિય કર્યું. ચંદ્રગુપ્તના પૌત્ર, મહાન રાજા અશોકે, કિલ્લા પર પોતાનું શાહી ચિહ્ન કોતરીને ઉપરકોટ પર પોતાની છાપ છોડી દીધી હતી. રાજા અશોકે જૂનાગઢની આસપાસના ગિરનાર પર્વતમાળામાં મોટા પથ્થરો પર ચૌદ આજ્ઞાઓ પણ લખી હતી. 475 અને 767 વચ્ચે, મૈત્રક વંશે જૂનાગઢ અને આસપાસના પ્રદેશ પર શાસન કર્યું. 1573 પછી, જૂનાગઢ મુઘલ સામ્રાજ્યનો એક ભાગ બની ગયું. 1730 માં નવાબ જૂનાગઢના શાસક બન્યા, તેમના વંશજો 1948 સુધી શાસન કરતા રહ્યા.[૫]
કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા જુનાગઢના વતની હતા. મુચકુંદ રાજાના હસ્તે કાલયૌવન (કલ્યવાન)નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા હતા. અશોકનો શિલાલેખ પણ આવેલો છે. શ્રીમદ્ વલ્લભાચાર્ય, સ્વામિનારાયણ અહીં પધારેલા હતા. રામાનંદ સ્વામી જેવા સંતો, રાણકદેવી જેવા સતી અને રા' નવઘણ જેવા શૂરવીરો જુનાગઢના હતા.
જૈન માન્યતા અનુસાર પોતાના લગ્નની ઉજવણીના ભોજન માટે પ્રાણીઓની કતલ થતી જોઈ ૨૨ મા તીર્થંકર નેમિનાથના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે સર્વ સાંસારિક ભોગ સુખનો ત્યાગ કર્યો અને મોક્ષ મેળવવા માટે ગિરનાર પર આવી સાધના કરવા લાગ્યા. અહીં તેમને કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ.[૬]
ધીરુભાઈ અંબાણીએ અહીં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર શાળામાં અભ્યાસ કર્યો હતો.
વસ્તી
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જુનાગઢ નગરપાલિકાની વસ્તી ૩,૧૯,૪૬૨ હતી.[૩] જાતિ પ્રમાણ ૯૫૫ અને ૯ ટકા વસ્તી ૬ વર્ષથી ઓછી ઉંમરની હતી.[૩] જુનાગઢમાં સાક્ષરતા દર ૮૮%; જેમાં પુરુષ સાક્ષરતા દર ૯૨.૪૬% અને સ્ત્રી સાક્ષરતા દર ૮૩.૩૮% હતો.[૩]
રાજકોટ જેવા શહેરોની સરખામણીમાં જુનાગઢમાં જમીન સસ્તી છે. શહેરની વિકાસ ઝડપી બનતા જુનાગઢ નગરપાલિકાની હદમાં પ્રાપ્ત જમીન મર્યાદિત છે. જુનાગઢમાં કુલ વિસ્તારના ૧૯.૫ ચો.કિમી. વિસ્તાર ઝૂંપડપટ્ટીમાં આવે છે.[૭]
જુનાગઢમાં મૂળ આફિક્રાના વતની સીદીઓ રહે છે. ગુજરાતમાં તેમની કુલ સંખ્યા ૮,૮૧૬ છે.[૮] તેમાંના ૬૫% જુનાગઢ શહેરમાં રહે છે.[૯]
પરિવહન
જુનાગઢમાં જુનાગઢ રેલ્વે જંકશન આવેલું છે. તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8D દ્વારા ગુજરાતના અન્ય શહેરો સાથે જોડાયેલું છે.
જોવાલાયક સ્થળો
- ઉપરકોટનો કિલ્લો
- જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે અંદાજે આઠમી સદી સુધી વલભીના શાસકોના કબજામાં રહ્યો હતો. ત્યારબાદ આ કિલ્લાનો જીર્ણોદ્ધાર ચુડાસમા રાજાઓ દ્વારા થયો. જે અનુક્રમે ચુડાસમા, સોલંકી અને મુઘલ રાજાઓના કબજામાં હતો. ઉપરકોટના કિલ્લામાં અડી કડી વાવ, નવઘણ કૂવો, ઉપરકોટની ગુફાઓ, રાણકદેવીનો મહેલ (જામા મસ્જીદ), નિલમ તથા કડાનાળ તોપ, અનાજના કોઠારો તથા સાત તળાવ તરીકે ઓળખાતો વોટર ફિલ્ટર પ્લાન્ટ જોવાલાયક સ્થળો છે.
- ભીમકુંડ અને સૂરજ કુંડ
- ગિરનારમાં ઘટી ઘટુકો નામે સ્થળની પાસે પ્રાચીન ‘ભીમ કુંડ’ આવેલો છે. આ ઉપરાંત ‘સુરજકુંડ’ પણ આવેલો છે. કોટમાંથી ઉપર ચડતાં રાજુલ ગુફા આવે છે અને આગળ સાતપુડાનું ઝરણું આવે છે ત્યાં પણ એક નાનો કુંડ છે.
- કપિલધારા કુંડ અને કમંડલ કુંડ
- સાચા કાકાની જગ્યા પાસે મહાકાલીની ભવ્ય મૂર્તિ અને ‘કપિલધારા’ નામે કુંડ છે. ત્યાંથી ગુરુ દત્તાત્રેય તરફ જતા માર્ગમાં ‘કમંડલ કુંડ’ આવે છે.
- સીતા કુંડ અને રામ કુંડ
- હનુમાનધારા નજીક સીતામઢી અને રામચંદ્રજીનું મંદિરની નજીક આ કુંડ આવેલા છે.
- ગિરનાર પર્વત
- ગિરનાર જૈન મંદિરો - ગિરનાર પર આવેલા જૈન મંદિરો.
- ગિરનાર ઉડનખટોલા - એશિયાનો સૌથી મોટો રોપ-વે (ઉડનખટોલા)
- દાતાર શિખર - ૨,૭૭૯ ફૂટ(૮૪૭ મી.) ઉંચો પર્વત જે ગિરનાર પર્વતમાળાનો ભાગ છે. આ પર્વત પર દાતાર બાપુની જગ્યા આવેલી છે, ત્યાં જવા માટે આશરે ૩૦૦૦ પગથિયા છે.
- નરસિંહ મહેતાનો ચોરો
- સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય
- દામોદર કુંડ
- ભવનાથ
- મહાબત મકબરો
- વિલિંગ્ડન બંધ
- ખાપરા-કોડીયાની ગૂફાઓ
- બાબા પ્યારેની ગુફાઓ
- અશોકનો શિલાલેખ
- બાબી મકબરો
- બહાઉદીન મકબરો
- બારાસાહેબ
- સાયન્સ મ્યુઝિયમ-તારામંડળ (પ્લેનેટોરિયમ)
- દરબાર હૉલ મ્યુઝિયમ (કચેરી)
- ગાયત્રી મંદિર - વાઘેશ્વરી મંદિર
- અક્ષર મંદિર
- સ્વામિનારાયણ મંદિર (જૂનું)
છબીઓ
- મહેર જવાંમર્દ કાળવા ઓડેદરાનું બાવલું, કાળવા ચોક
- ગિરનાર પર્વત, સવારે ૬.૩૦ વાગ્યાનું દ્રશ્ય
- ગિરનાર પર્વતનું તળેટી રોડ પરથી દ્રશ્ય
- દામોદરજીનું મંદિર, દામોદર કુંડ
સંદર્ભ
બાહ્ય કડીઓ
- જુનાગઢ વિસ્તારમાં આવેલાં પર્યટન સ્થળો સંગ્રહિત ૨૦૧૦-૧૦-૨૫ ના રોજ વેબેક મશિન