નરસિંહ મહેતા

મધ્યકાલીન ગુજરાતી સંત-કવિ

નરસિંહ મહેતા ૧૫મી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે. ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું હતું. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન તો ખૂબ જાણીતું છે,[૧] જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું અને તેમના જીવનનો પર્યાય બની રહ્યું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.

નરસિંહ મહેતા
નરસિંહ મહેતાનું પૂતળું, વડોદરા
જન્મની વિગતઇ.સ. ૧૪૧૪
મૃત્યુઇ.સ. ૧૪૮૮
માંગરોળ, સૌરાષ્ટ્ર
જીવનસાથીમાણેકબાઈ
સંતાનોશામળદાસ (પુત્ર), કુંવરબાઈ (પુત્રી)
સન્માનોઆદ્ય કવિ/આદિ કવિ

જીવન

નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ. ૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. નાની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા અને તેમનો ઉછેર તેમની દાદી જયગૌરીએ કર્યો હતો.[૨][૩]

તેમનાં લગ્ન ૧૪૨૯માં માણેકબાઈ સાથે થયાં. આ યુગલ નરસિંહ મહેતાના ભાઈ બંસીધરને ત્યાં જૂનાગઢમાં રહેતું હતું. તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી.[૧]

સર્જન

નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવી અથવા આદ્યકવિ કહેવામાં આવે છે.[૧] તેઓ તેમનાં પદો, આખ્યાનો અને પ્રભાતિયાં માટે પ્રખ્યાત છે. મહેતાનાં કાર્યોનું એક અગત્યનું અંગ એ છે કે તેઓ તે ભાષામાં નથી સચવાયાં જેમાં તે લખાયાં હતાં. સાથે જ, તેઓ મોટા ભાગે મૌખિક રીતે સચવાયાં છે.[૧] નરસિંહ મહેતાની કૃતિની સૌથી જૂની હસ્તપ્રત લગભગ ઇસવીસન ૧૬૧૨ની આસપાસ રચાયેલી છે જેને ગુજરાત વિદ્યા સભાના કે.કા. શાસ્ત્રીએ શોધી કાઢી હતી.[૧]

સરળતા ખાતર નરસિંહ મહેતાનાં કાર્યોનું ત્રણ ભાગમાં વિભાજન થઈ શકે:

  1. આત્મકથાત્મક સર્જનો: જેમાં શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, ઝારીનાં પદ વગેરે જેવાં સર્જનો અને હરિજનોનો સ્વીકાર કરતી કૃતિઓનો સમાવેશ થાય છે. આ કૃતિઓમાં મહેતાના જીવનના પ્રસંગો અને વર્ણવેલ 'ચમત્કારો' જેમાં ભગવાન ભક્તને મદદ કરે તેનો સમાવેશ થાય છે.[૪]
  2. અવર્ગીકૃત સર્જનો: સુદામા ચરિત, ચતુરી, દાનલીલા, ગોવિંદ ગમન, સૂરત સંગ્રામ અને શ્રીમદ્ ભાગવદના અમુક પ્રસંગોને વર્ણવતાં પદો.[૪]
  3. શૃંગારનાં ગીતો: રાધા અને કૃષ્ણની લીલા અને પ્રેમનું નિરૂપણ કરતાં કેટલાંય પદોની તેમણે રચના કરી છે.[૪]

વારસો અને લોકસંસ્કૃતિ

રાજકોટ ખાતે નરસિંહ મહેતાનું બાવલું

તેમના જીવન પરથી નાનુભાઈ વકીલ દિગ્દર્શિત ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા (૧૯૩૨) બન્યું હતું; ગાંધીજીના પ્રભાવને લીધે તે જાદુની વાતોથી રહિત હતું.[૫] વિજય ભટ્ટે ૧૯૪૦માં બનાવેલા દ્વિભાષી ચલચિત્રમાં, જે હિંદીમાં નરસી ભગત અને ગુજરાતીમાં નરસી ભગત નામે રજૂ થયું હતું તેમાં જાદુનો સમાવેશ હતો અને મહેતાના જીવનને ગાંધીજીના જીવન સાથે સરખાવ્યું હતું.[૩]

નરસૈંયો (૧૯૯૧), ગુજરાતી ધારાવાહિક દૂરદર્શન પરથી પ્રસારિત થઇ હતી, જેમાં દર્શન ઝરીવાલાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. ૨૭ હપ્તાની આ ધારાવાહિકનું નિર્માણ નંદુભાઇ શાહે કર્યું હતું અને તેના દિગ્દર્શક મૂળરાજ રાજડા હતા.[૩]

સન્માન

ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: