અમિત જેઠવા
અમિત જેઠવા એક ભારતીય પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા હતા. તેઓ મુખ્યત્ત્વે જૂનાગઢ નજીકના ગીર ના જંગલો માટે સક્રિય હતા. તેમણે સંરક્ષિત વિસ્તારમાં કરાતા ગેરકાયદેસર ખાણકામ વિરુદ્ધ અનેક દાવાઓ કોર્ટમાં દાખલ કર્યા હતા. તેમાં ભારતીય જનતા પક્ષના નેતા દીનુ સોલંકી પણ એક પ્રતિવાદી હતા. ૨૦ જુલાઈ ૨૦૧૦ના રોજ મોટરસાઈકલ સવાર બે હત્યારાઓએ તેમની હત્યા કરી હતી. ૬ સપ્ટેમ્બર ના રોજ દીનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ આ હત્યા માટે સોપારી આપવા બદલ થઈ હતી.[૧]
અમિત જેઠવા | |
---|---|
જન્મ | ૩૧ ડિસેમ્બર ૧૯૭૫ ગુજરાત |
મૃત્યુ | ૨૦ જુલાઇ ૨૦૧૦ અમદાવાદ |
નવેમ્બર ૨૦૧૩માં સીબીઆઈ દ્વારા દીનુ સોલંકીની પણ આ સંદર્ભે ધરપકડ કરાઈ.[૨]
કારકિર્દી
ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ તરીકે તેઓ જંગલમાં ગેરકાયદેસર દબાણ અને શિકારની પ્રવૃત્તિના વિરોધમાં સક્રિય હતા. બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ચિંકારા શિકારના કેસમાં પાંચ વર્ષની સજા થઈ તે કેસમાં પણ સક્રિય રીતે ભાગ લીધો હતો.
ભારતીય વન સંરક્ષણ વિભાગમાં થતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અને કલમ ૩૫૬ના આડેધડ ઉપયોગ વિરુદ્ધ તેમણે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે મધ્ય પ્રદેશના પાલપુર કુનો અભયારણ્યમાં સિંહને મોકલવા વિરુદ્ધ પણ અભિયાન ચલાવ્યું હતું.[૩]
૨૦૦૭માં તેઓ ગુજરાત વિધાનસભાની ચુંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા.
૨૦૧૦માં તેમણે રાજ્ય સરકાર વિરુદ્ધ લોકાયુક્તની નિયુક્તિ કરવામાં નિષ્ક્રિયતા માટે કેસ કરેલો. તેમાં હાઈકોર્ટે સરકારને લોકાયુક્તની નિયુક્તિ માટે આદેશ કરેલો.[૪]
ગેરકાયદે ખાણકામ વિરુદ્ધ તપાસ
આ તપાસ અને પુરાવા એકઠા કરી ૨૦૧૦ના મધ્યમાં તેમણે ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેમાં પ્રતિવાદી તરીકે દીનુ સોલંકી અને તેના પરિવારના સભ્યો હતા.
હત્યા
૨૦ જુલાઈના દિવસે તેઓ સોલંકી વિરુદ્ધના કેસના તેમના વકીલને મળવા અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ પાસે ગયા હતા. જે સમયે તેઓ બિલ્ડીંગની બહાર નીકળતા હતા ત્યારે બે શખ્શોએ નજીકથી તેમની પર ગોળીબાર કર્યો હતો અને તેમાં તેઓ ઘાયલ થયા હતા. ઘાયલ હોવા છતાં તેમણે હુમલાખોરોને પકડવા પ્રયાસ કર્યો હતો જેમાં એક હુમલાખોરનો કુર્તો તેમના હાથમાં આવી ગયો હતો જેમાં જૂનાગઢ ખાતેની લૉન્ડ્રીની દુકાનની નિશાની હતી.[૫][૬]
સન્માન
૨૦૧૦માં તેમને સતિષ શેટ્ટી આરટીઆઈ બહાદુરી પુરસ્કારથી મરણોપરાંત સન્માનિત કરવામાં આવ્યા. આ સિવાય એનડીટીવી દ્વારા પર્યાવરણ પુરસ્કાર પણ એનાયત કરાયો. ૨૦૧૧નો રાષ્ટ્રીય આરટીઆઈ પુરસ્કાર પણ મરણોપરાંત તેમને અપાયો.