મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા
સયાજીરાવ ગાયકવાડ (શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડ, ૧૦ માર્ચ ૧૮૬૩- ૬ ફેબ્રુઆરી ૧૯૩૯) બરોડા રાજ્યના મહારાજા (૧૮૭૫-૧૯૩૯) હતા. તેઓ તેમના શાસન દરમિયાન તેમના રાજ્યમાં શૈક્ષણિક અને સામાજીક સુધારાઓ લાવવા માટે જાણીતા છે.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા | |
---|---|
Sayaji Rao III Gaikwar, Maharajà de Baroda, 1919 | |
જન્મ | ૩૧ માર્ચ ૧૮૬૩ |
મૃત્યુ | ૬ ફેબ્રુઆરી ૧૯૩૯ |
વ્યવસાય | Sovereign |
જીવન સાથી | ચીમનાબાઈ પ્રથમ, મહારાણી ચીમનાબાઈ |
વંશ | ગાયકવાડ રાજવંશ |
પુરસ્કારો |
પ્રારંભિક જીવન
સયાજીરાવનો જન્મ ૧૧ માર્ચ ૧૮૬૩ના રોજ નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકાના કવલાણા ગામમાં સૂર્યવંશી મરાઠા પરિવારમાં થયો હતો. કાશીરાવ ભીખાજીરાવ દાદાસાહેબ ગાયકવાડ (૧૮૩૨-૧૮૭૭) અને ઉમાબાઈના બીજા પુત્ર સયાજીરાવનું જન્મ સમયનું નામ ગોપાલરાવ ગાયકવાડ હતું.
ઉત્તરાધિકાર
૧૮૭૦માં વડોદરાના લોકપ્રિય મહારાજા સર ખંડેરાવ ગાયકવાડ (૧૮૨૮-૧૮૭૦)ના મૃત્યુ બાદ એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેમના ભાઈ મલ્હારરાવ ગાયકવાડ (૧૮૩૧-૧૮૮૨) તેમના અનુગામી બનશે. જોકે, મલ્હારરાવની છબી પહેલેથી જ નકારાત્મક હતી. તેમને અગાઉ ખંડેરાવ ગાયકવાડની હત્યાના કાવતરા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ખંડેરાવના વિધવા મહારાણી જમનાબાઈ (૧૮૫૩-૧૮૯૮) ખંડેરાવના મૃત્યુ સમયે ગર્ભવતી હતા પરંતુ ગર્ભમાં રહેલા બાળકનું લિગ સાબિત ન થાય ત્યાં સુધી ઉત્તરાધિકાર પ્રક્રિયામાં વિલંબ થયો. બાળક દીકરી સાબિત થયું અને ૫ જુલાઈ, ૧૮૭૧ના રોજ મલ્હારરાવ સત્તામાં આવ્યા.
મલ્હારરાવે ઉદાર હાથે પૈસા ખર્ચ્યા. નક્કર સોનાની તોપ, મોતીની જાજમ જેવા અન્ય શાહી ખર્ચાઓથી વડોદરાની તિજોરી લગભગ ખાલી કરી નાખી. મલ્હારરાવની કૂરતા અને ઘોર જુલમના અહેવાલો ટૂંક સમયમાં બ્રિટિશ આર્મી ઓફિસર રોબર્ટ ફેયર સુધી પહોંચ્યા. મલ્હારરાવે રોબર્ટ ફેયરને રાસાયણિક ઝેર (આર્સેનિક) આપવાનો પ્રયાસ કરીને પોતાના કાર્યોને ઢાંકવાનો પ્રયાસ કર્યો.[૧]
બ્રિટીશ ભારતના તત્કાલીન રાજ્ય સચિવ લોર્ડ સેલિસબરીએ ૧૦ એપ્રિલ ૧૮૭૫ના રોજ મલ્હારરાવ ગાયકવાડને પદભ્રષ્ટ કરી મદ્રાસ ખાતે દેશનિકાલ કરવાનો આદેશ કર્યો, જ્યાં તેઓ ૧૮૮૨માં ગુમનામીમાં મૃત્યુ પામ્યા હતા.[૨]
રાજ્યાભિષેક
વડોદરાની ગાદી ખાલી પડી હતી તેથી મહારાણી જમનાબાઈને તેમના વંશના વડાઓને વડોદરા હાજર થઈ તેમને અને તેમના પુત્રોને તેમની સમક્ષ ઉપસ્થિત થવા કહ્યું, જેથી તે ગાદીનો વારસદાર નક્કી કરી શકે.
કાશીરાવ અને તેમના ત્રણ પુત્રો આનંદરાવ (૧૮૫૭-૧૯૧૭), ગોપાલરાવ (૧૮૬૩-૧૯૩૯) અને સંપતરાવ (૧૮૬૫-૧૯૩૪) કવલાણાથી લગભગ ૬૦૦ કિલોમીટર દૂર વડોદરા આવ્યા. એ વાત જાણીતી છે કે, જ્યારે બધાં યુવકોને પુછવામાં આવ્યું કે તેમનો અહીં આવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે ત્યારે ગોપાલરાવે અચકાયા વગર પ્રત્યુત્તર આપ્યો કે "હું અહીંયા શાસન કરવા આવ્યો છું."
ગોપાલરાવને અંગ્રેજોએ ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા અને તે મુજબ ૨૭ મે, ૧૮૭૫ના રોજ મહારાણી જમનાબાઈએ તેમને દત્તક લીધા હતા. તેમને સયાજીરાવ નામનું નવું નામ પણ આપવામાં આવ્યું હતું. તેઓ ૧૬ જૂન, ૧૮૭૫ના રોજ વડોદરા રાજ્યના રાજા બન્યા, કાચી વયના કારણે શરૂઆતમાં રિજન્સી કાઉન્સિલ હેઠળ શાસન કર્યું. પુખ્ત વયના થતાં જ ૨૮ ડિસેમ્બર, ૧૮૮૧ના રોજ સંપૂર્ણ સત્તા હસ્તગત કરી શાસનની શરૂઆત કરી. તેમની કાચી વય દરમિયાન તેમને રાજા સર ટી. માધવ રાવ દ્વારા વહીવટી કૌશલ્યમાં વ્યાપક શિક્ષણ આપવામાં આવ્યું હતું, જેમણે પોતાના યુવા નેતાને દૂરંદેશી અને લોકકલ્યાણ પ્રદાન કરવાની ઇચ્છા સાથે તૈયાર કર્યા હતા. આ સમયગાળામાં માધવરાવે મલ્હારરાવ દ્વારા નિર્મિત અંધાધૂંધી દૂર કરી રાજ્યને સામાન્ય સ્થિતિમાં પુનઃસ્થાપિત કર્યું હતું. માનવ પ્રવૃત્તિના દરેક ક્ષેત્રમાં મહારાજાએ પોતાના જીવન દરમિયાન જે સિદ્ધિ હાંસલ કરી તેનો શ્રેય એફ. એ. એચ. એલિયટને આપવો જોઈએ.
શાસન કાળ
મહારાજાએ પોતાના શાસનકાળ દરમિયાન ખેતી અને શિક્ષણસંબંધી અનેક સુધારા કર્યા. શાસન અને વ્યવસ્થાને અલગ બનાવ્યા. રાજ્યની ધારાસભાની રચના કરી, પછાત વર્ગોને પ્રતિનિધિત્વ આપ્યું. કીર્તિ મંદિર, ન્યાય મંદિર, ખંડેરાવ માર્કેટ, લક્ષ્મી વિલાસ મહેલ, કલાભવન જેવી અનેક જોવાલાયક ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. એમણે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત બનાવ્યું.[૩]
તેમનું અવસાન ઇ.સ. ૧૯૩૯માં અવસાન થયું હતું.