કે. કામરાજ

ભારતીય રાજનેતા

કુમારસ્વામી કામરાજ (૧૫ જુલાઇ ૧૯૦૩[૧] - ૨ ઓક્ટોબર ૧૯૭૫[૨]), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સંગઠન)ના સંસ્થાપક નેતા હતા જે ૧૯૬૦ના દશકમાં ભારતીય રાજનીતિમાં કિંગમેકર તરીકે જાણીતા હતા. ૧૯૬૪ થી ૧૯૬૭ના વર્ષો દરમિયાન તેઓ બે કાર્યકાળ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા.[૩] કામરાજ ૧૯૫૪–૧૯૬૩ દરમિયાન મદ્રાસ રાજ્યના (વર્તમાન તમિલનાડુ) ત્રીજા મુખ્યમંત્રી તેમજ ૧૯૫૨–૧૯૫૪ અને ૧૯૬૬–૧૯૭૫ દરમિયાન લોકસભાના સાંસદ રહ્યા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પક્ષના સંચાલનમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મદ્રાસના મુખ્યમંત્રી તરીકે વંચિતોને મફત શિક્ષણ આપવાની તથા શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કાર્યાન્વિત કરવાનું શ્રેય કામરાજને જાય છે. ૧૯૭૬માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.[૪]

કે. કામરાજ
ટપાલટિકિટ પર કામરાજ
૩જા મુખ્યમંત્રી મદ્રાસ રાજ્ય
પદ પર
૧૩ એપ્રિલ ૧૯૫૪ – ૨ ઓક્ટોબર ૧૯૬૩
રાષ્ટ્રપતિરાજેન્દ્ર પ્રસાદ
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
પ્રધાન મંત્રીજવાહરલાલ નેહરુ
ગવર્નરશ્રીપ્રકાશ
અન્નાપેરાબિલ જોસેફ જ્હોન
પી. વી. રાજમન્નાર (કાર્યકારી)
વિષ્ણુરામ મેધી
સ્પીકરજગન્નાથમ શિવષણ્મુગમ પિલ્લાઇ
એન. ગોપાલ મેનન
યુ. ક્રિષ્ના રાવ
એસ. છેલપાંડિયન
વિરોધ પક્ષના નેતાનેગી રેડ્ડી
પે. રામામુર્થી
વી .કે. રામાસ્વામી મુદ્દાલીયર
વી. આર. નેદુન્ચેરીયન
પુરોગામીસી. રાજગોપાલાચારી
અનુગામીએમ. ભક્તવત્સલમ
બેઠકગુડીયાથમ
સત્તુર
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(સંગઠન)ના સંસ્થાપક
પદ પર
૧૯૬૯ – વર્તમાન
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(સંગઠન)ના નેતા
પદ પર
૧૯૬૯ – ૧૯૭૫
અનુગામીમોરારજી દેસાઈ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ
પદ પર
૧૯૬૪ – ૧૯૬૭
પુરોગામીનીલમ સંજીવ રેડ્ડી
અનુગામીએસ. નિજલિંગપ્પા
તમિલનાડુ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ
પદ પર
૧૯૪૬ – ૧૯૫૨
અનુગામીપી .સુબ્બરયન
લોકસભા સાંસદ
પદ પર
૧૯૬૯ – ૧૯૭૫
પુરોગામીએ. નેસામોની
અનુગામીકુમારી અનન્થા
બેઠકનાગરકોવિલ મતક્ષેત્ર
પદ પર
૧૯૫૧ – ૧૯૫૪
બેઠકશ્રીવિલ્લિપુથ્થુર
અંગત વિગતો
જન્મ(1903-07-15)15 July 1903
વિરુધુનગર, મદ્રાસ પ્રાંત, બ્રિટીશ ભારત
(હાલ તમિલનાડુ, ભારત)
મૃત્યુ2 October 1975(1975-10-02) (ઉંમર 72)
મદ્રાસ, તમિલનાડુ, ભારત
અંતિમ સ્થાનપેરુંથલૈવર કામરાજ મેમોરીઅલ
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
અન્ય રાજકીય
જોડાણો
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૯૬૯ સુધી)
નિવાસસ્થાનશિવગામીપુરમ, વિરુધુઅગર, તમિલનાડુ
પુરસ્કારો
  • ભારત રત્ન (૧૯૭૬) (મરણોપરાંત)
  • કોપર બોન્ડ એવોર્ડ (૧૯૭૨)
સહી

પ્રારંભિક જીવન

કામરાજનો જન્મ ૧૫ જુલાઇ ૧૯૦૩ના રોજ તમિલનાડુ રાજ્યના વિરુધુનગર ખાતે કુમારસ્વામી નાદર અને શિવાકામી અમાલને ત્યાં થયો હતો. તેમનું મૂળ નામ કામાક્ષી હતું પરંતુ તેઓ કામરાજ તરીકે જ ઓળખાતા હતા. તેમના પિતા કુમારસ્વામી વેપારી હતા. [૫][૬] તેમણે ૧૯૦૭માં શાળામાં પ્રવેશ મેળવ્યો પરંતુ ૬ વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થતાં શાળા અભ્યાસ અધૂરો છોડી કુટુંબ નિર્વાહમાં માતાની મદદમાં લાગી ગયા.[૭]

રાજકીય કારકિર્દી

કિશોરાવસ્થા દરમિયાન કામરાજ હોમરુલ આંદોલનના જાહેર સભા–સરઘસોમાં ભાગ લેવા લાગ્યા તથા સમાચારપત્રોના વાંચનથી તત્કાલીન રાજનૈતિક પરિસ્થિતિઓમાં રસ-રુચિ વિકસિત કરી. જલિયાંવાલા બાગ હત્યાકાંડની ઘટના તેમના જીવનમાં નિર્ણાયક સાબિત થઈ. આ ઘટનાથી પ્રભાવિત થઈને તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં હિસ્સો લેવાનો નિર્ણય કર્યો. [૮][૯]

૧૯૨૦માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પુર્ણકાલીન સક્રિય કાર્યકર બન્યા.[૯] ૧૯૨૧માં તેમણે વિરુધુનગરમાં કોંગ્રેસી નેતાઓની સભાઓનું આયોજન કર્યું. તેઓ મહાત્મા ગાંધીની મુલાકાત માટે ઉત્સુક હતા અને ૨૧ સપ્ટેમ્બર ૧૯૨૧માં ગાંધીજીના મદુરાઇ પ્રવાસ દરમિયાન તેમની સાથે મુલાકાત કરી. તેમણે કોંગ્રેસના પ્રચાર-પ્રસાર માટે ગામડાંઓનો પ્રવાસ કર્યો.[૮] ૧૯૨૨માં અસહયોગ આંદોલનના ભાગરૂપે પ્રિન્સ ઓફ વેલની ભારત મુલાકાતનો વિરોધ કર્યો અને મદ્રાસ ખાતે આયોજીત વિરોધ પ્રદર્શનનું નેતૃત્ત્વ કર્યું. જૂન ૧૯૩૦માં દાંડી માર્ચની સમાંતરે વેદારણ્યમ ખાતેના મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ બે વર્ષની કારાવાસની સજા ભોગવી[૧૦]

કામરાજે મદ્રાસ રાજ્યના તત્કાલીન ગવર્નર સર આર્થર હોપ દ્વારા દ્વિતીય વિશ્વ યુદ્ધ માટે ભંડોળ એકત્ર કરવાની કામગીરીનો વિરોધ કરતાં રાજ્યમાં જોરદાર લડત ચલાવી. ડિસેમ્બર ૧૯૪૦માં ભંડોળ એકત્ર કરવાની કામગીરી વિરુદ્ધ ભાષણો આપવા બદલ ભારતના રક્ષા નિયમો અંતર્ગત ગંતૂર ખાતે ધરપકડ કરાઈ અને વેલ્લોરની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા. જેલવાસ દરમિયાન જ તેઓ વિરુધુનગર નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા. નવ માસની જેલની સજા બાદ નવેમ્બર ૧૯૪૧માં જેલમાંથી છૂટતાંની સાથે નગરનિગમના સભ્યપદેથી રાજીનામું આપ્યું. તેમણે અનુભવ્યું કે પદ કરતાં રાષ્ટ્રની જવાબદારીઓ વધુ મહત્ત્વની છે.[૧૧][૧૨]

૧૯૪૨માં કામરાજે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મુંબઈ અધિવેશનમાં ભાગ લીધો તથા ભારત છોડો આંદોલનની પ્રચાર સામગ્રીના પ્રસાર માટેની જવાબદારી ઉપાડી લીધી. પોલીસે અધિવેશનમાં ભાગ લેનારા તમામ નેતાઓની ધરપકડના આદેશ આપ્યા જે અંતર્ગત ઓગસ્ટ ૧૯૪૨માં તેમની ધરપકડ કરાઈ. તેઓ ત્રણ વર્ષ નજરકેદ રહ્યા બાદ જૂન ૧૯૪૫માં મુક્ત કરવામાં આવ્યા. આ તેમની અંતિમ જેલયાત્રા હતી.[૧૦][૧૧][૧૩] કામરાજને સ્વતંત્રતા સમર્થક પ્રવૃત્તિઓ માટે બ્રિટીશ શાસન દરમિયાન છ વાર કેદ કરવામાં આવ્યા અને ત્રણ હજારથી પણ વધુ દિવસો જેલવાસમાં પસાર કર્યા.[૧૪]

અવસાન

બીજી ઓક્ટોબર ૧૯૭૫ના રોજ ૭૨ વર્ષની આયુમાં કામરાજનું અવસાન થયું.

સન્માન

કામરાજને ૧૯૭૬માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.[૧૫] તમિલનાડુ રાજ્યમાં તેઓ ફાધર ઓફ એજ્યુકેશન તરીકે ઓળખાય છે. ચેન્નઈ હવાઇમથકના ટર્મિનલને કામરાજ ટર્મિનલ નામ અપાયું છે. બેંગલુરુનો નોર્થ પરેડ માર્ગ તથા દિલ્હીનો પાર્લામેન્ટ રોડ હવે કામરાજ માર્ગ તરીકે ઓળખાય છે. મદુરાઇ કામરાજ વિશ્વવિદ્યાલય નામ તેમના સન્માનમાં અપાયું છે.[૧૬] ૨૦૦૩માં ભારત સરકાર દ્વારા તેમના સન્માનમાં એક સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો છે.

ચિત્ર ઝરૂખો

સંદર્ભ

🔥 Top keywords: