જયંત પાઠક

ગુજરાતી કવિ

જયંત હિંમતલાલ પાઠક (૨૦ ઓક્ટોબર ૧૯૨૦ - ૧ સપ્ટેમ્બર ૨૦૦૩) ગુજરાતી કવિ અને વિવેચક હતા. ૧૯૯૦-૧૯૯૧ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમને સાહિત્ય અકદાદમી પુરસ્કાર, કુમાર સુવર્ણ ચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક અને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક જેવા પારિતોષિકો પ્રાપ્ત થયા હતા. તેમના માનમાં જયંત પાઠક કવિતા પુરસ્કાર અર્પણ થાય છે.

જયંત પાઠક
જન્મજયંત હિંમતલાલ પાઠક
(1920-10-20)20 October 1920
ગોઠ, રાજગઢ, પંચમહાલ જિલ્લો
મૃત્યુ1 September 2003(2003-09-01) (ઉંમર 82)
વ્યવસાયકવિ, વિવેચક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
  • એમ. એ.
  • પીએચ.ડી.
માતૃ શિક્ષણ સંસ્થાએમ.ટી.બી. આર્ટસ કોલેજ, સુરત
સમયગાળોઆધુનિક ગુજરાતી સાહિત્ય
નોંધપાત્ર સર્જનો
  • વનાંચલ (૧૯૬૭)
  • અનુનય (૧૯૭૮)
  • મૃગયા (૧૯૮૩)
નોંધપાત્ર પુરસ્કારો
સહી

જીવન

તેમનો જન્મ ઇચ્છાબા અને હિંમતલાલ જોઇતારામ પાઠકને ત્યાં ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા ગોઠ ગામમાં થયો હતો. તેમનું બાળપણનું હુલામણું નામ બચુડો હતું. તેમના પિતા તેઓ જ્યારે દસ વર્ષના હતા ત્યારે અવસાન પામ્યા હતા તેથી તેમનો ઉછેર તેમના દાદા જોઇતારામના ઘરે થયો હતો. રાજગઢ ખાતે તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું અને ૧૯૩૦માં તેઓ કાલોલની એમ.જી.એસ હાઇસ્કૂલમાં દાખલ થયા અને ૧૯૩૮માં મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કરી. ૧૯૪૩માં તેમણે સુરતની એમ.ટી.બી. કોલેજમાંથી બી.એ.ની પદવી મેળવી અને ૧૯૪૫માં વડોદરા કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.ની પદવી મેળવી. ૧૯૬૦માં તેમણે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા: પરિબળો અને સિદ્ધિ વિષય પર પીએચ.ડી. કર્યું. તેમના લગ્ન ભાનુબહેન સાથે થયા હતા.[૧]

કારકિર્દી

૧૯૪૩થી ૧૯૪૫ દરમિયાન તેઓ વિવિધ શાળાઓમાં શિક્ષક રહ્યા હતા જેમાં વડોદરાની ન્યૂ ઇરા શાળા, કાટપિટિયા શાળા તેમજ કરજણ ગામની શાળાનો સમાવેશ થાય છે. ૧૯૪૮થી ૧૯૫૩ દરમિયાન તેમણે મુંબઈ, પુણે અને દિલ્હીમાં નિવાસ કર્યો અને પત્રકારત્વ સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું. ૧૯૫૩માં તેઓ સુરતની એમ.ટી.બી. આર્ટસ્ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ૧૯૮૦માં નિવૃત્ત થયા. ૧૯૮૯-૧૯૯૧ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ૧૯૯૨માં તેઓ નર્મદ સાહિત્ય સભા અને કવિ નર્મદ યુગવાર્તા ટ્રસ્ટના પ્રમુખ રહ્યા હતા. તેમનું સાહિત્ય ગુર્જરમિત્ર, લોકસત્તા, કુમાર, બુદ્ધિપ્રકાશ, ગ્રંથ, વિશ્વમાનવ, કવિતા અને કવિલોક જેવા સામયિકોમાં પ્રગટ થયું હતું.[૧]

૧ સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ તેમના નાનપુરા, સુરત ખાતેના ઘરે તેમનું અવસાન થયું હતું.[૧]

સર્જન

જયંત પાઠકનો જન્મ ગુજરાતના પંચમહાલ વિસ્તારમાં થયો હતો, જે આદિવાસી વિસ્તાર છે. આ વાતાવરણની તેમની કવિતા પર ગાઢ અસર હતી. તેઓ જ્યારે યુવાન હતા ત્યારે તેમના પિત્રાઇ કવિ ઉશનસ્ અને પછી તેમના શાળા શિક્ષક પ્રાણશંકર ભટ્ટે તેમની કવિતા પર ઉંડી અસર છોડી હતી. કવિ ઉમાશંકર જોષી અને સુંદરમ્ પાસેથી પણ તેમણે પ્રેરણા લીધી હતી.[૨]

મર્મર ૧૯૫૪માં પ્રકાશિત થયેલ તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો,[૩] ત્યારબાદ સંકેત (૧૯૬૦), વિસ્મય (૧૯૬૪), સર્ગ (૧૯૬૯), અંતરિક્ષ (૧૯૭૫), અનુનય (૧૯૭૮), મૃગયા (૧૯૮૩), શૂળી ઉપર સેજ (૧૯૮૮), બે અક્ષર આનંદના (૧૯૯૨) અને ધૃતવિલંબિત (૨૦૦૩) પ્રગટ થયા હતા.[૧] તેમની કવિતાઓમાં તેમના ગામમાં વિતાવેલા બાળપણની યાદો પ્રગટ થઇ હતી કારણકે શહેરી જીવન તેમને બેચેનીનો અનુભવ કરાવતું હતું.[૪] તેમના કાવ્ય સંગ્રહ અનુનયનું ભાષાંતર ૧૯૯૩માં બ્રજેન્દ્ર ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું હતું.[૫]

તેમના વિવેચન સર્જનમાં આધુનિક કવિતા પ્રવાહ (૧૯૬૩), આલોક (૧૯૬૬), ટૂંકી વાર્તા: સ્વરૂપ અને સાહિત્ય (૧૯૬૮), ઝવેરચંદ મેઘાણી: જીવન અને સાહિત્ય (૧૯૬૮), રામનારાયણ વિ. પાઠક (૧૯૭૦), કાવ્યલોક (૧૯૭૪), અર્થાત (૧૯૯૭) અને ટૂંકી વાર્તા અને બીજા લેખો (૨૦૦૦)નો સમાવેશ થાય છે.[૧]

સન્માન

જયંત પાઠક કવિતા પુરસ્કાર તેમના માનમાં અપાય છે.[૧] ૨૦૦૧માં તેમને પ્રેમચંદ સુવર્ણ ચંદ્રક રઘુવીર ચૌધરીની સાથે પ્રાપ્ત થયો હતો.

પૂરક વાચન

  • પાઠક, જયંત (૨૦૧૫). क्षण विस्मय के [જયંત પાઠકની ગુજરાતી કવિતાનો હિન્દીમાં અનુવાદ] (હિન્દીમાં). દક્ષા વ્યાસ વડે અનુવાદિત. ગાંધીનગાર: હિન્દી સાહિત્ય અકાદમી. ISBN 978-93-83317-49-3.

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: