પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળ (બંગાળી: পশ্চিমবঙ্গ) ભારત દેશના પૂર્વ ભાગમાં બંગાળની ખાડી પર આવેલું રાજ્ય છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ તે ભારતની ચોથી સૌથી વધુ વસ્તી ધરાવતો રાજ્ય છે અને ૯ કરોડ થી વધુ રહેવાસીઓ તેમાં રહે છે. તેનો વિસ્તાર ૮૮૭૫૨ ચો.કિમી (૩૪૨૬૭ ચો.માઈલ) છે. વંશીય ભાષાકીય બંગાળ પ્રદેશનો એક ભાગ, બાંગ્લાદેશ તેની પૂર્વમાં છે અને ઉત્તરમાં નેપાળ અને ભૂટાન; તે પાંચ ભારતીય રાજ્યોની સાથે સરહદો વહેંચે છે: ઓડિશા, ઝારખંડ, બિહાર, સિક્કીમ અને આસામ. પશ્ચિમ બંગાળ રાજ્યનું પાટનગર કોલકાતા છે, જે ભારતનાં પ્રથમ ચાર મહાનગરોમાંનું એક મહાનગર છે. ભૌગોલિક દૃષ્ટિએ પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ હિમાલયન પર્વતીય પ્રદેશ, ગંગાનો મુખ ત્રિકોણાકાર પ્રદેશ, રારહ પ્રદેશ અને દરિયાઇ સુંદરવનનો સમાવેશ થાય છે. ત્યાંની મુખ્ય ભાષા બંગાળી છે.[૪] મુખ્ય વંશીય જૂથ બંગાળીઓ છે, જેમાં બંગાળી હિન્દુઓ વસ્તી વિષયક બહુમતી ધરાવે છે.
પશ્ચિમ બંગાળ পশ্চিমবঙ্গ पश्चिम बंगाल | |
---|---|
રાજ્ય | |
ભારતમાં પશ્ચિમ બંગાળનું સ્થાન | |
દેશ | ભારત |
સ્થાપના | ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ |
રાજધાની | કોલકાતા |
સૌથી મોટું શહેર | કોલકાતા |
જિલ્લાઓ | ૨૩ |
સરકાર | |
• માળખું | પશ્ચિમ બંગાળ સરકાર |
• ગર્વનર | જગદીપ ધનખડ |
• મુખ્યમંત્રી | મમતા બેનર્જી (ટી.એમ.સી.) |
• ધારા સભા | પશ્ચિમ બંગાળ વિધાન સભા (૨૯૫* બેઠકો) |
• હાઇ કોર્ટ | કલકત્તા હાઇ કોર્ટ |
વિસ્તાર | |
• કુલ | ૮૮,૭૫૨ km2 (૩૪૨૬૭ sq mi) |
વિસ્તાર ક્રમ | ૧૪મો |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૯,૧૩,૪૭,૭૩૬ |
• ક્રમ | ૪થો |
• ગીચતા | ૧,૦૨૯/km2 (૨૬૭૦/sq mi) |
ઓળખ | બંગાળી |
સમય વિસ્તાર | UTC+૦૫:૩૦ (IST) |
ISO 3166 ક્રમ | IN-WB |
વાહન નોંધણી | WB |
માનવ વિકાસ સૂચક અંક (HDI) | 0.509 (મધ્યમ) |
HDI ક્રમ | ૯મો (૨૦૧૧)[૨] |
સાક્ષરતા | ૭૭.૦૮% (૨૦૧૧)[૩] |
અધિકૃત ભાષા | બંગાળી ભાષા[૪] |
વેબસાઇટ | wb |
^* ૨૯૪ ચૂંટાયેલ, ૧ નામાંકિત |
પ્રાચીન બંગાળમાં અનેક મુખ્ય જનપદાસની જગ્યા હતી. ઈ.સ. પૂર્વે બીજી સદીમાં, આ પ્રદેશ સમ્રાટ અશોક દ્વારા જીત્યો હતો. આઠમી સદીના મધ્યભાગમાં બંગાળ માં પાલવંશનું શાસન હતું.ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં, તે ગુપ્ત સામ્રાજ્યમાં સમાઈ ગયો હતો. ૧૩મી સદીથી, ૧૮ મી સદીમાં બ્રિટિશ શાસનની શરૂઆત સુધી આ ક્ષેત્ર પર અનેક સુલ્તાન, શક્તિશાળી હિંદુ રાજ્યો અને જમીનદારોનુ શાસન હતુ. બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૭૫૭ માં પ્લાસીના યુદ્ધના પગલે પ્રદેશ પર તેમની પકડ મજબૂત કરી, અને કલકત્તા બ્રિટિશ ભારતની રાજધાની તરીકે ઘણા વર્ષો સુધી રહ્યું હતુ. બ્રિટિશ વહીવટીતંત્રના પ્રારંભિક અને લાંબા સમય સુધી સંપર્કમાં આવવાથી પશ્ચિમી શિક્ષણનું વિસ્તરણ થયું, વિજ્ઞાનમાં વિકાસ, સંસ્થાકીય શિક્ષણ, અને આ પ્રદેશમાં સમાજ સુધારણામાં પરિણમ્યું, જે બંગાળી પુન:જીવન તરીકે જાણીતુ બન્યુ હતુ. ૨૦મી સદીની શરૂઆતમાં ભારતની સ્વતંત્રતા ચળવળનુ એક મુખ્ય સ્થળ હતુ, બંગાળને ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ધાર્મિક રેખાઓ પર વિભાજીત કરવામાં આવ્યુ હતું, પશ્ચિમ બંગાળ - ભારતનું એક રાજ્ય અને પૂર્વ બંગાળ - નવા બનેલા રાષ્ટ્રનું એક ભાગ પાકિસ્તાન કે જે પછી બાંગ્લાદેશ બન્યુ. ૧૯૭૭ અને ૨૦૧૧ ની વચ્ચે, વિશ્વની સૌથી લાંબી ચૂંટાયેલી સામ્યવાદી સરકાર દ્વારા રાજ્યનું સંચાલન કરવામાં આવ્યું હતું.
મુખ્ય કૃષિ ઉત્પાદક, ભારતની ચોખ્ખી સ્થાનિક ઉત્પાદનમાં યોગદાનની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ છઠ્ઠા ક્રમે છે. રાજ્યનો સાંસ્કૃતિક વારસો, વિવિધ લોક પરંપરાઓ ઉપરાંત, નોબેલ પારિતોષક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર તેમજ સંગીતકારો, ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો સહિત સાહિત્યમાં નોંધપાત્ર લેખકોનો સમાવેશ થાય છે. કોલકાતાને "ભારતની સાંસ્કૃતિક રાજધાની" તરીકે ઓળખવામાં આવે છે.
વ્યુત્પત્તિશાસ્ત્ર
બંગાળ નામની ઉત્પત્તિ (બંગાળીમાં બાંગ્લા અને બાંગો) એ જાણમાં નથી. એક સિદ્ધાંત સૂચવે છે કે શબ્દ "બેંગ" પરથી આવ્યો છે, દ્રવીડીયન આદિજાતિ જે આશરે ઇ.સ. પૂર્વે ૧૦૦૦માં વિસ્તાર સ્થાયી થયેલ છે. બંગાળી શબ્દ બૉંગો વાંગ (અથવા બાંગા) ના પ્રાચીન સામ્રાજ્યમાંથી ઉતરી આવ્યો હોવાનું મનાય છે. જોકે કેટલાક પ્રારંભિક સંસ્કૃત સાહિત્યમાં વાંગ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ પ્રદેશનો પ્રારંભિક ઇતિહાસ અસ્પષ્ટ છે.
ભારતીય ઉપખંડ પર બ્રિટીશ શાસનના અંતમાં, બંગાળ પ્રદેશને ૧૯૪૭ માં ધાર્મિક રેખાઓ ના આધાર પર પૂર્વ અને પશ્ચિમમાં વિભાજિત કરવામાં આવ્યું હતુ.પૂર્વીય ભાગને પૂર્વ બંગાળ તરીકે ઓળખવામાં આવે છે, અને પશ્ચિમ ભાગ પશ્ચિમ બંગાળ તરીકે જાણીતો બન્યો, જે એક ભારતીય રાજ્ય તરીકે ચાલુ રહ્યો. ૨૦૧૧ માં પશ્ચિમ બંગાળની સરકારે રાજ્યના સત્તાવાર નામમાં પોશ્ચિમબોન્ગોમાં ફેરફાર કરવાની દરખાસ્ત કરી હતી. આ રાજ્યનું મૂળ નામ છે, જે મૂળ બંગાળી ભાષામાં પશ્ચિમ બંગાળનો શાબ્દિક અર્થ છે. ઓગસ્ટ ૨૦૧૬ માં, પશ્ચિમ બંગાળ વિધાનસભાએ પશ્ચિમ બંગાળના નામને અંગ્રેજી માં "બેંગાલ", હિન્દીમાં "બંગાળ", અને બંગાળીમાં "બાંગ્લા" બદલવાનો એક બીજો ઠરાવ પસાર કર્યો. નામ પરિવર્તનના ઠરાવ અંગે સર્વસંમતિ ઉભી કરવા તૃણમૂલ કોંગ્રેસ સરકારના મજબૂત પ્રયાસો છતાં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ડાબેરી મોરચા અને ભારતીય જનતા પાર્ટીએ આ ઠરાવનો વિરોધ કર્યો હતો. જો કે, તે હવે ભારતીય સંસદની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.
જિલ્લાઓ
પશ્ચિમ બંગાળ રાજ્યમાં કુલ ૨૩ જિલ્લાઓ આવેલા છે.
- ઉત્તર ૨૪ પરગણા જિલ્લો
- દક્ષિણ ૨૪ પરગણા જિલ્લો
- ઉત્તર દિનાજપુર જિલ્લો
- દક્ષિણ દિનાજપુર જિલ્લો
- કૂચબિહાર જિલ્લો
- કોલકોતા જિલ્લો
- જલપાઈગુડી જિલ્લો
- દાર્જિલિંગ જિલ્લો
- નાદિયા જિલ્લો
- પશ્ચિમ મેદિનીપુર જિલ્લો
- પુરુલિયા જિલ્લો
- પૂર્વ મેદિનીપુર જિલ્લો
- બાંકુડા જિલ્લો
- બીરભૂમ જિલ્લો
- માલદહ જિલ્લો
- મુર્શિદાબાદ જિલ્લો
- વર્ધમાન જિલ્લો
- હાવડા જિલ્લો
- હુગલી જિલ્લો