અબ્દુલ કલામ

ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ અને અવકાશ વૈજ્ઞાનિક

અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ (જન્મ: ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ; મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ) અથવા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા અને ઇ.સ. ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. તેમનો જન્મ અને ઉછેર તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ ખાતે થયો હતો. તેમણે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT), ચેન્નઈ ખાતેથી કર્યો હતો. કારકિર્દીના શરૂઆતના ચાર દશકમાં તેઓ એક વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પ્રશાસકના રૂપમાં મુખ્યત્ત્વે સંરક્ષણ અને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ) તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ખાતે કાર્યરત રહી ભારતના અંતરિક્ષ કાર્યક્રમ તેમજ મિસાઇલ વિકાસ પ્રકલ્પ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા.[૧] બેલેસ્ટીક મિસાઇલ અને પ્રક્ષેપણ વાહન પ્રૌદ્યોગિકીના વિકાસમાં તેમના પ્રદાન બદલ તેઓ મિસાઇલમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે.[૨][૩][૪] ૧૯૯૮ના પોખરણ પરમાણુ પરિક્ષણ કાર્યક્રમમાં તેમને મહત્વની ભૂમિકા ભજવી હતી.[૫]

એ. પી. જે. અબ્દુલ કલામ
અબ્દુલ કલામ, ૨૦૧૪માં
૧૧માં રાષ્ટ્રપતિ, ભારત
પદ પર
૨૫ જુલાઇ ૨૦૦૨ – ૨૫ જુલાઇ ૨૦૦૭
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
મનમોહન સિંહ
ઉપ રાષ્ટ્રપતિકૃષ્ણ કાંત
ભૈરોં સિંઘ શેખાવત
પુરોગામીકે. આર. નારાયણ
અનુગામીપ્રતિભા પાટીલ
૧લા, ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર
પદ પર
૧૯૯૯ – ૨૦૦૨
રાષ્ટ્રપતિકે. આર. નારાયણ
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
પુરોગામીપદની સ્થાપના
અનુગામીરાજગોપાલ ચિદંબરમ
અંગત વિગતો
જન્મ
અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ

(1931-10-15)15 October 1931
રામેશ્વરમ, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટિશ રાજ
(હાલમાં તામિલ નાડુ, ભારત)
મૃત્યુ27 July 2015(2015-07-27) (ઉંમર 83)
શિલોંગ, મેઘાલય, ભારત
અંતિમ સ્થાનરામેશ્વરમ, તામિલ નાડુ, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણસંસ્થા
  • સેંટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લી (બી.એન્જ.)
  • મદ્રાસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એમ.એન્જ.)
ક્ષેત્ર
  • એરોસ્પેસ એન્જિનિયર
  • લેખક
પુરસ્કારોભારત રત્ન
મુખ્ય રચનાઓવિંગ્સ ઓફ ફાયર, ઇન્ડિયા ૨૦૨૦, ઇગ્નાઇટ માઇન્ડસ, ઇન્ડોમિટેબલ સ્પિરિટ, ટ્રાન્સકેન્ડેન્સ: માય સ્પિરિટ્યુઅલ એક્સપીરિયન્સ વિથ પ્રમુખ સ્વામી
સહી
વેબસાઈટOfficial Website
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રએરોસ્પેસ એન્જિનિયરીંગ
કાર્ય સંસ્થાઓડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન
ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન

૨૦૦૨ના રાષ્ટ્રપતિ નિર્વાચનમાં સતાધારી ભારતીય જનતા પાર્ટી અને તત્કાલીન વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્થનથી ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખૂબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" (પીપલ્સ પ્રેસીડેન્ટ) તરીકે લોકચાહના મેળવી.[૬] રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ બાદ તેઓ શિક્ષણ, લેખન અને સાર્વજનિક સેવાના નાગરિક કાર્યમાં સક્રીય રહ્યા હતા. તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન સહિત ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો તેમને મળ્યા હતા.

ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ શિલોંગમાં વ્યાખ્યાન આપતી વખતે હ્રદય રોગના હુમલાને કારણે ૨૭ જુલાઇ ૨૦૧૫ના દિવસે ૮૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.[૭][૮][૯] રાષ્ટ્રીય સ્તરની ગણમાન્ય વ્યક્તિઓ સહિત હજારો લોકોની હાજરીમાં તેમના વતન રામેશ્વરમ ખાતે પૂરા રાજકીય સન્માન સાથે તેમની દફનવિધિ કરવામાં આવી હતી.[૧૦]

પ્રારંભિક જીવન અને શિક્ષણ

એ. પી. જે. અબ્દુલ કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૩૧ના રોજ તત્કાલીન મદ્રાસ રાજ્ય (હાલ તમિલનાડુ)ના રામેશ્વરમ તીર્થ સ્થળ પાસેના પામ્બન દ્વીપ પર એક તમિલ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જૈનુલાબ્દીન એક નાવના માલિક અને સ્થાનિક મસ્જિદના ઇમામ હતા.[૧૧] તેમના માતા આશિઅમ્મા ગૃહિણી હતા.[૧૨][૧૩] તેમના પિતા તેમની નાવમાં હિન્દુ તીર્થયાત્રીઓને રામેશ્વરમ લાવવા લઈ જવાનું કામ કરતા હતા.[૧૪] કલામ તેમના પરિવારમાં ચાર ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના હતા.[૧૫] તેમનો પરિવાર ગરીબ હોવાથી બાળપણમાં આવકપૂર્તિ માટે તેઓ સમાચારપત્ર વહેંચવાનું કામ કરતા હતા.[૧૬]

શાળાજીવનમાં કલામ એક સરેરાશ વિદ્યાર્થી હતા પરંતુ તેમની શીખવાની ધગશ પ્રબળ હતી, ખાસ કરીને ગણિત વિષયના અભ્યાસ પાછળ ઘણો સમય વ્યતીત કરતા.[૧૭] શાળાજીવનનો પ્રાથમિક અભ્યાસ રામેશ્વરમાં જ પૂર્ણ કર્યા બાદ તેમણે તિરુચિરાપલ્લી ખાતેની સેંટ જોસેફ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૫૪માં તેમણે ભૌતિકવિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી.[૧૮] ૧૯૫૫માં મદ્રાસ (હાલ ચેન્નઈ) ખાતેની મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT)માં એરોસ્પેસ ઇજનેરીના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો.[૧૯] તેઓ ફાઇટર પાઇલોટ બનવાના પોતાના સ્વપ્નને ફક્ત એક સ્થાન માટે ચૂકી ગયા હતા કારણ કે ભારતીય વાયુ સેનામાં આઠ સ્થાન ઉપલબ્ધ હતા જ્યારે તેઓ યોગ્યતા સૂચિમાં નવમા ક્રમે હતા.[૨૦]

વૈજ્ઞાનિક કારકિર્દી

તે મારા માટે પ્રથમ પગથિયું હતું, જેમાં મેં ત્રણ મહાન શિક્ષકો ડૉ. વિક્રમ સારાભાઈ, પ્રો. સતીષ ધવન અને ડૉ. બ્રહ્મપ્રકાશ પાસેથી નેતૃત્ત્વ શીખ્યું. તે મારા માટે શીખવાનો અને જ્ઞાન અધિગ્રહણ કરવાનો સમય હતો.

એ.પી.જે.અબ્દુલ કલામ[૨૧]
ભારતીય ટપાલ ટિકિટ પર અબ્દુલ કલામ (૨૦૧૫)

૧૯૬૦માં મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થયા બાદ કલામ રક્ષા અનુસંધાન અને વિકાસ સેવા (ડીઆરડીએસ)ના સભ્ય બન્યા. ત્યારબાદ એક વૈજ્ઞાનિક તરીકે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના એરોનોટીક વિકાસ પ્રતિષ્ઠાનમાં સામેલ થયા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક નાનકડા હોવરક્રાફ્ટ ડીઝાઈનીંગ સાથે કરી હતી. અલબત, ડીઆરડીઓ ખાતેની તેમની નોકરીથી તેઓ સંતુષ્ટ નહોતા.[૨૨] કલામ, પ્રસિદ્ધ અંતરિક્ષ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈના વડપણ હેઠળની ભારતીય રાષ્ટ્રીય અંતરિક્ષ અનુસંધાન સમિતિના સભ્ય હતા.[૧૯] ૧૯૬૯માં કલામને ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) ખાતે સ્થાનાંતરીત કરાયા, જ્યાં તેઓ ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ યાનના પરિયોજના નિર્દેશક હતા. આ પરિયોજના અંતર્ગત જુલાઈ ૧૯૮૦માં રોહિણી ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષાથી નજીક તરતો મૂકવામાં આવ્યો.[૧]

IIT ગુવાહાટી ખાતે ઇજનેરી વિદ્યાર્થીઓને સંબોધી રહેલા અબ્દુલ કલામ

૧૯૬૩–૬૪ દરમિયાન કલામે અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાના વર્જીનિયા તથા મેરીલેન્ડ ખાતેના કેન્દ્રોની મુલાકાત લીધી.[૨૩] ૧૯૭૦થી ૧૯૯૦ના દશક દરમિયાન કલામે ધૃવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (PSLV) અને ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (SLV-III) પરીયોજનાઓને વિકસિત કરવાનો પ્રયત્ન કર્યો અને બન્ને યોજનાઓ સફળ રહી.

કલામ દેશના પહેલા પરમાણુ પરીક્ષણ સ્માઇલીંગ બુદ્ધાનો હિસ્સો ન હોવા છતાં રાજા રમન્ના દ્વારા ટર્મિનલ બેલેસ્ટિક અનુસંધાન પ્રયોગશાળાના પ્રતિનિધિ તરીકે પરીક્ષણ નિહાળવા માટે આમંત્રિત કરાયા હતા. ૧૯૭૦ના દશકમાં કલામે અન્ય બે પરિયોજનાઓ પ્રોજેક્ટ ડેવિલ અને પ્રોજેક્ટ વેલીઅન્ટ અંતર્ગત ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (SLV)ની તકનિક દ્વારા બેલેસ્ટિક મિસાઇલ તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી.[૨૪] કેન્દ્રીય મંત્રીપરિષદની અસ્વીકૃતિ છતાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કલામના નિર્દેશનમાં પોતાની વિવેકાધીન શક્તિઓનો ઉપયોગ કરીને આ અંતરિક્ષ પરિયોજનાઓ માટે ગુપ્ત અનુદાનની ફાળવણી કરી. કલામે આ વર્ગીકૃત અંતરિક્ષ પરિયોજનાઓની વાસ્તવિક પ્રકૃતિને છુપાવવાની જરૂરિયાત સંદર્ભે મંત્રીમંડળને સમજાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.[૨૪]

તેમની શોધ અને શૈક્ષણિક નેતૃત્ત્વએ ૧૯૮૦ના દશકમાં તેમને ખૂબ જ ખ્યાતિ અને પ્રતિષ્ઠા અપાવી. સરકાર તેમના નિર્દેશનમાં આધુનિક મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવા માટે તૈયાર થઈ.[૨૪] કલામ તથા રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. વી. એસ. અરુણાચલમએ તત્કાલીન રક્ષા મંત્રી આર. વેંકટરમનની સલાહ પર એક પછી એક તબક્કાવાર મિસાઇલ પરીક્ષણને બદલે એકસામટા મિસાઇલ પરીક્ષણ પર કાર્ય કર્યું.[૨૫] આ પરિયોજના એકીકૃત ગાઇડેડ મિસાઇલ વિકાસ કાર્યક્રમ માટે ૩.૮૮ બિલિયન રકમની ફાળવણી કરવામાં આવી તથા કલામને યોજનાના મુખ્ય કાર્યકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.[૨૫] યોજના અંતર્ગત કલામે મધ્યવર્તી અંતરની બેલેસ્ટીક મિસાઇલ અગ્નિ મિસાઇલ તથા ધરાતલથી ધરાતલ પર હુમલો કરવા સક્ષમ પૃથ્વી મિસાઇલને વિકસિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.[૨૫][૨૬]

કલામે જુલાઈ ૧૯૯૨થી ડિસેમ્બર ૧૯૯૯ સુધી પ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તથા રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનના ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું. આ સમયગાળા દરમિયાન પોખરણ-૨ પરમાણું પરીક્ષણ કરવામાં આવ્યા જેમાં તેમણે ગહન રાજનૈતિક અને તકનિકી ભૂમિકા ભજવી. કલામે આ પરિયોજના દરમિયાન રાજગોપાલ ચિદમ્બરમ સાથે મુખ્ય પરિયોજના સમન્વયક (કો-ઓર્ડીનેટર) તરીકે કાર્ય કર્યું.[૧૨][૨૭] આ સમયગાળા દરમિયાન સમૂહ માધ્યમોમાં પ્રસારીત સમાચારોને કારણે સમગ્ર દેશમાં પરમાણુ વૈજ્ઞાનિક તરીકે પ્રસિદ્ધિ મેળવી.[૨૮]

૧૯૯૮માં કલામે હૃદયરોગ નિષ્ણાત ભૂપતિરાજુ સોમરાજુ સાથે મળીને ઓછી કિંમતના કોરોનરી સ્ટેન્ટ વિકસિત કર્યા જે કલામ-રાજુ સ્ટેન્ટ તરીકે ઓળખાય છે.[૨૯]

રાજકીય દ્રષ્ટિ

એ.પી.જે. અબ્દુલ કલામે તેમના પુસ્તક 'ઇન્ડિયા ૨૦૨૦'માં ભારતને જ્ઞાન-મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે.

સન્માન અને ખિતાબો

૧૯૯૭માં અબ્દુલ કલામને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનિકીના આધુનિકિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનવામાં આવ્યા છે.[૩૦] ૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઇટેડ નેશન્સે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવ્યો હતો.[૩૧] તેમને ૪૦ વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ) માંથી માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી છે.[૩૨][૩૩] ભારત સરકારે તેમના ઇસરો અને ડી.આર.ડી.એ. માં કરેલા કાર્યો તથા ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર તરીકેની સેવાઓ બદલ વર્ષ ૧૯૮૧માં તેમને પદ્મભૂષણ અને ૧૯૯૦માં પદ્મવિભૂષણથી નવાજ્યા.[૩૪] ૨૦૦૫માં તેમની સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત દરમ્યાન તે દેશે ૨૬ મેને વિજ્ઞાન દિવસ ઘોષિત કર્યો હતો.[૩૫] ૨૦૧૩માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ મળ્યો જે મેળવનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા.[૩૬]

સન્માન કે ખિતાબનું વર્ષસન્માન કે ખિતાબનું નામસન્માનીત કરનાર સંસ્થા
૨૦૧૪ડૉક્ટર ઓફ સાયન્સએડિનબર્ગ યુનિવર્સિટી, યુ.કે.[૩૭]
૨૦૧૨ડૉક્ટર ઓફ લૉ (Honoris Causa)સિમોન ફ્રેઝર યુનિવર્સિટી[૩૮]
૨૦૧૧IEEE માનદ સદસ્યતાIEEE[૩૯]
૨૦૧૦ડૉક્ટર ઓફ ઈજનેરીયુનિવર્સિટી ઓફ વોટરલૂ[૪૦]
૨૦૦૯માનદ ડૉક્ટરેટઓકલેન્ડ યુનિવર્સિટી[૪૧]
૨૦૦૯હૂવર મેડલASME ફાઉન્ડેશન, યુ.એસ.એ.[૪૨]
૨૦૦૯ઈન્ટરનેશનલ વોન કાર્મેન વિંગ્સ એવોર્ડકેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, યુ.એસ.એ.[૪૩]
૨૦૦૮ડૉક્ટર ઓફ ઈજનેરી (Honoris Causa)નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, સિંગાપોર[૪૪]
૨૦૦૮ડૉક્ટર ઓફ સાયન્સ (Honoris Causa)અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટી, અલીગઢ[૪૫]
૨૦૦૭ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીકાર્નેગી મેલોન યુનિવર્સિટી[૪૬]
૨૦૦૭કિંગ ચાર્લ્સ II મેડલરોયલ સોસાયટી, યુ.કે.[૪૭][૪૮][૪૯]
૨૦૦૭ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સયુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટન, યુ.કે.[૫૦]
૨૦૦૦રામાનુજન એવોર્ડઅલ્વર્સ રિસર્ચ સેન્ટર, ચેન્નઈ[૫૧]
૧૯૯૮વીર સાવરકર એવોર્ડભારત સરકાર[૧૯]
૧૯૯૭ઈન્દીરા ગાંધી એવોર્ડ ફોર નેશનલ ઈન્ટીગ્રેશનભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ[૧૯][૫૧]
૧૯૯૭ભારત રત્નભારત સરકાર[૫૧][૫૨]
૧૯૯૪ડિસ્ટિંગ્યુસ્ડ ફેલ્લોસઈન્સ્ટીટ્યુટ ઓફ ડાયરેક્ટર્સ (ભારત)[૫૩]
૧૯૯૦પદ્મવિભૂષણભારત સરકાર[૫૧][૫૪]
૧૯૮૧પદ્મભૂષણભારત સરકાર[૫૧][૫૪]

સંદર્ભો

બાહ્ય કડીઓ

🔥 Top keywords: