રામનાથ કોવિંદ

ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ

રામનાથ કોવિંદ[૧][૨] (જન્મ ૧ ઓક્ટોબર, ૧૯૪૫) ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ હતા. તેઓ ૨૦૧૭ની ભારતના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ચૂંટાયેલા હતા.[૩][૪][૫][૬] કોવિંદ ભારતીય રાજકારણી અને દલિત નેતા છે.[૭][૮][૯][૧૦][૧૧][૧૨] અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સભ્ય છે.[૧૩][૧૪] તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી બિહારના રાજ્યપાલ હતા.[૧૫]

રામનાથ કોવિંદ
૧૪મા ભારતના રાષ્ટ્રપતિ
પદ પર
૨૫ જુલાઈ ૨૦૧૭ – ૨૫ જુલાઈ ૨૦૨૨
પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદી
ઉપ રાષ્ટ્રપતિમહંમદ હમીદ અંસારી
વૈંકયા નાયડુ
પુરોગામીપ્રણવ મુખર્જી
અનુગામીદ્રૌપદી મુર્મૂ
૨૬મા બિહારના રાજ્યપાલ
પદ પર
૧૬ ઓગસ્ટ ૨૦૧૫ – ૨૧ જૂન ૨૦૧૭
મુખ્યમંત્રીનિતીશ કુમાર
પુરોગામીકેસરીનાથ ત્રિપાઠી
અનુગામીકેસરીનાથ ત્રિપાઠી
રાજ્યસભાના સાંસદ
પદ પર
૩ એપ્રિલ ૧૯૯૪ – ૨ એપ્રિલ ૨૦૦૬
પુરોગામીસુબ્રમણ્યમ સ્વામી
અનુગામીવિનય કટિયાર
બેઠકઉત્તર પ્રદેશ
અંગત વિગતો
જન્મ (1945-10-01) 1 October 1945 (ઉંમર 78)
પરૌન્ખ, સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથી
સવિતા કોવિંદ (લ. 1974)
સંતાનો
શિક્ષણબી.કોમ., એલએલ.બી.
માતૃ શિક્ષણસંસ્થાછત્રપતિ શાહુજી મહારાજ વિશ્વવિદ્યાલય (કાનપુર વિશ્વવિદ્યાલય)
વ્યવસાય
  • રાજકારણી
  • વકીલ
સહી

જન્મ અને શિક્ષણ

કોવિંદનો જન્મ ૧ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના કાનપુર દેહાત જિલ્લાના ગામ પરૌંખમાં કોળી પરિવારમાં થયો હતો.[૧૬][૧૭] તેમના પિતા મૈકૂ લાલ જે કોળી જાતિના હતા તથા ગામમાં વૈદ્ય તરીકે સેવા કરતા હોવાથી ગામના લોકો તેમને મૈકૂ લાલ વૈદ્ય કે મૈકૂ બાબાના નામથી ઓળખતા હતા.[૧૮] તેમણે કાનપુર વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યમાં સ્નાતક (બી.કોમ.)ની પદવી અને પછી કાયદાવિદ્‌ (એલ.એલ.બી.)ની પદવી મેળવેલી છે.[૧૯][૨૦][૨૧]

કારકિર્દી

રામનાથ કોવિંદ, બિહારમાં નરેન્દ્ર મોદી સાથે રેલવે પુલના ઉદ્‌ઘાટન સમયે.

વકીલ

કાનપુર વિદ્યાલયમાંથી કાયદાના સ્નાતકનું શિક્ષણ લીધા પછી કોવિંદ સિવિલ સેવાઓની પરીક્ષાની તૈયારી માટે દિલ્હી ગયા. તેમણે ત્રીજા પ્રયાસે આ પરીક્ષા પાસ કરી, પણ તેઓની પસંદગી આઈ.એ.એસ. સેવાને બદલે અન્ય સેવાઓમાં થઈ આથી તેઓ સિવિલ સેવામાં જોડાયા નહિ. તેને બદલે તેઓએ વકીલ તરીકેની કારકિર્દી શરૂ કરી.[૨૨] તેઓ ૧૯૭૭થી ૧૯૭૯ સુધી દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં (દિલ્હી હાઈકોર્ટ) કેન્દ્ર સરકારના વકીલ હતા અને ૧૯૮૦થી ૧૯૯૩ સુધી કેન્દ્ર સરકારના સ્થાયી વકીલ તરીકે સર્વોચ્ચ ન્યાયાલયમાં (સુપ્રીમ કોર્ટ) સેવાઓ આપી. ૧૯૭૮માં તેઓ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના નોંધાયેલા વકીલ (advocate-on-record) બન્યા. તેઓએ ૧૯૯૩ સુધી, લગભગ ૧૬ વર્ષ, દિલ્હી ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયમાં વકીલ તરીકે કામ કર્યું. તેઓ ૧૯૭૧માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધાયા હતા. વકીલ તરીકે તેઓએ નવી દિલ્હીના 'મહિલાઓ અને ગરીબોને નિઃશુલ્ક કાનૂની સેવા મંડળ' દ્વારા સમાજનાં પછાત વર્ગને નિઃશુલ્ક કાનૂની સેવાઓ પૂરી પાડી હતી.[૨૦] તેઓ ૧૯૭૭-૭૮ દરમિયાન ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઈના અંગત મદદનીશ પણ રહ્યા હતા.[૨૩]

ભાજપાના સભ્ય

તેઓ ૧૯૯૧માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.[૨૩] તેઓ ૧૯૯૮થી ૨૦૦૨ વચ્ચે બીજેપી દલિત મોર્ચાના પ્રમુખ અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે સેવા આપી. તેઓએ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ સેવા આપી હતી.[૨૪] તેમણે દેરાપુર ખાતે આવેલું પોતાનું વારસાગત બાપીકું મકાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આર.એસ.એસ.)ને દાનમાં આપી દીધું હતું.[૨૩] તેમણે ઉત્તર પ્રદેશની ઘાતમપુર લોકસભા બેઠક અને ભોગનીપુર વિધાન સભા બેઠકો પરથી ભાજપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી પણ બંન્ને ચૂંટણીઓ હારી ગયા હતા.

રાજ્ય સભા

તેઓ એપ્રિલ ૧૯૯૪માં ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી રાજ્ય સભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓએ સતત બે મુદત સુધી રાજ્ય સભાના સભ્ય તરીકે સેવાઓ આપી. સાંસદ તરીકે તેઓએ અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ, કાનૂન અને ન્યાય, આંતરિક બાબતો જેવી સંસદીય સમિતિઓમાં સેવા આપી હતી. તેઓએ રાજ્ય સભા ગૃહ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. સાંસદ તરીકેની તેમની કારકિર્દી દરમિયાન તેમણે, M.P. L.A.D. યોજના હેઠળ, ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણના પ્રચાર હેતુ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં શાળાઓનાં મકાનો બાંધવામાં મદદ આપવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. સાંસદ તરીકે તેમણે અભ્યાસ પ્રવાસ અંતર્ગત થાઇલેન્ડ, નેપાળ, પાકિસ્તાન, સિંગાપુર, જર્મની, સ્વિત્ઝરલૅન્ડ, ફ્રાન્સ, યુ.કે. અને યુ.એસ.એ.ની મુલાકાત લીધી હતી.[૨૦]

અન્ય નિમણૂકો

તેઓએ લખનૌ સ્થિત બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલયનાં સંચાલક મંડળમાં સેવા આપી હતી, અને આઈ.આઈ.એમ. કોલકાતાના સંચાલન મંડળમાં પણ હતા. તેઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ પણ કરેલું અને ઓક્ટોબર ૨૦૦૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને સંબોધન પણ કરેલું.[૨૫]

રાજ્યપાલ

૮ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ કોવિંદને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા હતા.[૨૬] તા.૧૬ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ, પટણા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ઈકબાલ એહમદ દ્વારા કોવિંદને બિહારના ૩૬મા રાજ્યપાલ તરીકે, રાજભવન, પટણા ખાતે શપથવિધિ સમારોહ યોજી શપથ લેવડાવાયા હતા.[૨૭]

રાજ્યપાલ તરીકે, તેમણે અયોગ્ય શિક્ષકોની બઢતીમાં વિસંવાદીતા, ભંડોળનો ગેર વહીવટ અને વિશ્વવિદ્યાલયમાં અયોગ્ય ઉમેદવારોની ભરતી જેવી બાબતોની તપાસ કરવા માટે ન્યાયિક કમિશનની રચના કરેલી એ પગલાંની પ્રશંસા થયેલી.[૨૩]

ભારતના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે નામાંકન થતાં, તેમણે બિહારના રાજ્યપાલ પદેથી રાજીનામું આપેલું હતું, અને ભારતના રાષ્ટ્રપતિએ ૨૦ જૂન, ૨૦૧૭ના રોજ રાજીનામું સ્વીકાર્ય કર્યું હતું.[૨૮]

અંગત જીવન

કોવિંદે ૩૦ મે, ૧૯૭૪ના રોજ સવિતા કોવિંદ સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર, પ્રશાંત કુમાર અને એક પુત્રી, સ્વાતિ છે.[૨૧]

સંદર્ભો

🔥 Top keywords: