સુમિત્રાનંદન પંત
સુમિત્રાનંદન પંત હિન્દી સાહિત્યના કવિ હતા, કે જેઓ હિંદી સાહિત્યની છાયાવાદી વિચારધારના આધારસ્તંભ ગણાય છે. આધુનિક હિંદી સાહિત્યમાં સુમિત્રાનંદન પંતનો નવા યુગના પ્રવર્તકના રૂપમાં ઉદય થયો. તેમણે સુકુમાર ભાવનાઓના કવિ પણ કહેવામાં આવે છે. ગિરજે કા ઘંટા તેમની સર્વ પ્રથમ રચના હતી, જે ૧૯૧૬માં પ્રકાશિત થઈ. તેમની રચનાઓને અર્વાચીન ચેતનાનું પ્રતિક ગણવામાં આવે છે.[૧]
સુમિત્રાનંદન પંત | |
---|---|
જન્મની વિગત | કૌસાની | 20 May 1900
મૃત્યુની વિગત | 28 December 1977 | (ઉંમર 77)
રાષ્ટ્રીયતા | ભારતીય |
અભ્યાસ | ક્વિન કોલેજ, |
વ્યવસાય | કવિ અને લેખક |
વતન | ભારત |
ધર્મ | માનવ ધર્મ |
પુરસ્કારો | પદ્મભૂષણ, જ્ઞાનપીઠ એવોર્ડ, સોવિયત નહેરૂ શાંતિ પુરસ્કાર |
જન્મ
સુમિત્રાનંદન પંતનો જન્મ ૨૦ મે ૧૯૦૦ ના રોજ અલમોડા, ઉત્તર પ્રદેશના કૌસાની ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ ગુસઈદત્ત હતું. તેમને પોતાનું નામ પસંદ ન હતું એટલે તેમણે પોતાનું નામ સુમિત્રાનંદન પંત રાખ્યું હતું.[૨]
શિક્ષણ
સુમિત્રાનંદન પંતે પ્રાથમિક શિક્ષણ અલ્મોડામાં લીધું હતું. ૧૯૧૮માં તેઓ તેમના ભાઈની સાથે કાશી આવ્યા, જ્યાં તેમણે ક્વિન કોલેજમાં અભ્યાસ ચાલુ કર્યો. તેઓ મેટ્રિકમાં ઉતીર્ણ થયા પછી અલ્હાબાદમાં જઈને વસ્યા. અહીં તેમણે ઇન્ટર સુધીનો અભ્યાસ કર્યો.[૨]
જીવન
સુમિત્રાનંદન ૧૯૧૯માં મહાત્મા ગાંધીના સત્યાગ્રહ થી પ્રભાવિત થયા અને તેમનો અભ્યાસ અધૂરો છોડી અને સ્વાધીનતા આંદોલનમાં સક્રિય ભાગીદાર બન્યા. પરંતુ અભ્યાસમાં તેમનો રસ નિરંતર રહ્યો અને તેમણે સ્વઅધ્યયન દ્વારા જ સંસ્કૃત, બંગાળી, હિંદી અને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમને પ્રકૃતિથી ખૂબ જ લગાવ હતો. તેમણે બાળપણથી જ સુંદર રચનાઓ લખવાનું શરૂ કર્યું હતું.[૧]
સાહિત્યિક જીવનની શરૂઆત
સુમિત્રાનંદન પંતે ૭ વર્ષની વયે ધોરણ ૪માં લખવાનો પ્રારંભ કર્યો હતો. કવિ તરીકેની તેંમની સાહિત્યિક સફર ઇ.સ. ૧૯૧૮થી બનારસમાં ચાલુ થઈ. તેઓ તેમના મોટા ભાઈથી પ્રભાવિત થયા અને અલ્મોડા અખબાર , સરસ્વતી, વેંકટેશ્વર સમાચાર જેવા સમાચારપત્રોના વાંચનથી તેમનામાં કવિતા પ્રત્યે રૂચિ પ્રગટ થઈ. શૈક્ષણિક વર્ષો દરમિયાન તેઓ સરોજિની નાયડુ, રવિન્દ્રનાથ ટાગોર તેમજ અન્ય અંગ્રેજી ભાષાના રોમેન્ટિક કવિઓની રચનાઓથી પરિચિત થયા. અલ્હાબાદમાં તેમની કાવ્યચેતનાનો વિકાસ થયો. તેમની કવિતા ભૌતિક, નૈતિક અને સામાજિક પાસાંની સાથે અધ્યાત્મિક ચેતનાને પણ સહજ રીતે આવરી લે છે. તેમણે હમેશા વિશ્વકલ્યાણની વાતને સમર્થન આપ્યું હતું.[૨] કેટલાક વર્ષો પછી તેમને મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો જેમાં દેવું ચુકવવા માટે તેમને જમીન અને ઘર પણ વહેચવું પડ્યું હતું.[સંદર્ભ આપો]
મુખ્ય કૃતિઓ
'વીણા', 'ઉચ્છવાસ', 'પલ્લવ' (૧૯૨૮), 'ગ્રંથી', 'ગુંજન', 'લોકાયતન પલ્લવી', 'માનસી', 'સત્યકામ', 'જ્યોત્સના(પ્રતિકાત્મક નાટક)', 'પાંચ કહાનિયા(વાર્તા સંગ્રહ)' વગેરે. તેમનું સંપૂર્ણ સાહિત્ય ‘સુમિત્રાનંદન પંત ગ્રંથાવલી’ રૂપે ઉપલબ્ધ છે.[૨]
પુરસ્કારો
- જ્ઞાનપીઠ એવોર્ડ - ચિદમ્બરા માટે
- સોવિયત નહેરૂ શાંતિ પુરસ્કાર - લોકાયતન માટે
- પદ્મભૂષણ પુરસ્કાર[૧]
અવસાન
સુમિત્રાનંદન પંતનું અવસાન ૨૮ ડિસેમ્બર ૧૯૭૭ના રોજ અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ ખાતે થયું હતું.[૧]
સંદર્ભો
બાહ્ય કડીઓ
- સુમિત્રાનંદન પંત - જીવન પરિચય (હિન્દીમાં)