અમદાવાદ
અમદાવાદ (ઉચ્ચારણ (મદદ·માહિતી)) ગુજરાત રાજ્યનું સૌથી મોટુંં અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા અને શહેરી વસ્તી પ્રમાણે સાતમા ક્રમનું શહેર છે.[૧૫] સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૧ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.
અમદાવાદ અહમદાબાદ, કર્ણાવતી | |
---|---|
મેટ્રોપોલિટન શહેર | |
સમઘડી દિશામાં ડાબે ઉપરથી: સાબરમતી આશ્રમ, હઠીસિંહનાં દેરાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા તળાવ | |
અક્ષાંશ-રેખાંશ: 23°02′N 72°35′E / 23.03°N 72.58°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
સ્થાપના | ૧૪૧૧ |
નામકરણ | અહમદ શાહ પહેલો |
સરકાર | |
• પ્રકાર | મેયર-કાઉન્સિલ |
• માળખું | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
• મેયર | પ્રતિભાબેન જૈન[૧] |
• ડેપ્યુટી મેયર | જતિન પટેલ |
• મ્યુનિસિપલ કમિશ્નર | મુકેશ કુમાર[૨] |
• પોલિસ કમિશ્નર | સંજય શ્રીવાસ્તવ[૩] |
વિસ્તાર | |
• મેટ્રોપોલિટન શહેર | ૫૦૫.૦૦ km2 (૧૯૪.૯૮ sq mi) |
• શહેેરી | ૧,૮૬૬ km2 (૭૨૦ sq mi) |
વિસ્તાર ક્રમ | ભારતમાં ૬ઠ્ઠો (ગુજરાતમાં ૨જો) |
ઊંચાઇ | ૫૩ m (૧૭૪ ft) |
વસ્તી (૨૦૧૧)[૧૦] | |
• મેટ્રોપોલિટન શહેર | ૫૬,૩૩,૯૨૭ |
• ક્રમ | ૫મો |
• ગીચતા | ૧૧૦૦૦/km2 (૨૯૦૦૦/sq mi) |
• શહેરી વિસ્તાર | ૬૩,૫૭,૬૯૩ |
ઓળખ | અમદાવાદી |
ભાષા | |
• અધિકૃત | ગુજરાતી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૮૦ ૦XX |
ટેલિફોન વિસ્તાર ક્રમ | ૦૭૯ |
વાહન નોંધણી | GJ-01 (પશ્ચિમ), GJ-27 (પૂર્વ), GJ-38 (બાવળા, ગ્રામીણ)[૧૨] |
જાતિ પ્રમાણ | ૧.૧૧[૧૩] ♂/♀ |
સાક્ષરતા દર | 89.62[૧૦] |
મેટ્રોપોલિસ GDP/PPP | ૭૦ અબજ ડોલર |
વેબસાઇટ | ahmedabadcity |
સંદર્ભ: ભારતની વસ્તી ગણતરી.[૧૪] |
અંગ્રેજ શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અગત્યનો ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.
ઇતિહાસ
પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો.[૧૬][૧૭]
એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના ભીલ રાજા[૧૮] સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.
સોલંકી વંશનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા વંશના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી.
ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે (મૂળ નામ: નાસીરુદીન અહમદશાહ) પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ'[૧૯] તરીકે ઓળખાવા લાગ્યું.
અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો[૨૦] (૧.૨૦ બપોરે, ગુરૂવાર, ધુ અલ-કિદાહ, હિજરી વર્ષ ૮૧૩[૨૧]). તેણે નવી રાજધાની ૪ માર્ચ ૧૪૧૧ના રોજ નક્કી કરી હતી.
દંતકથા અનુસાર અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે: જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા.
ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે.[૨૨] ઈ.સ. ૧૫૫૩માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો.[૨૩] ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલકાળ દરમ્યાન અમદાવાદ, રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાંથી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું.[૨૪] મરાઠાકાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશ્વા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું.[૨૫]
અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ 'પૂર્વનું માંચેસ્ટર' પણ કહેવાતું હતું.
મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ રહી છે.
૧૯૭૪માં એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના છાત્રાલયના ભોજનાલયમાં દરમાં ૨૦%નો વધારો થતા તેનો વિરોધ શરૂ થયો, જે નવનિર્માણ આંદોલનમાં પરિણમ્યો અને ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ (અને માત્ર એકવાર) ચૂંટાયેલા મુખ્યમંત્રી - ચીમનભાઈ પટેલે આંદોલનને કારણે રાજીનામું આપવું પડ્યું.[૨૬] ૧૯૮૦ના દાયકામાં ૧૯૮૧ અને ૧૯૮૫માં અનામત વિરોધી આંદોલનો થયા. આ આંદોલનને કારણ સમાજના વિવિધ વર્ગો વચ્ચે રમખાણો થયા.[૨૭] ૨૦૦૧ના ધરતીકંપમાં શહેરના ૫૦ જેટલી બહુમાળી ઈમારતો ધરાશયી થઇ અને ૭૫૨ લોકોના મૃત્યુ થયા.[૨૮] તેના પછીના વર્ષે ૩ દિવસ સુધી ૨૦૦૨ના ગોધરાકાંડની અસરરૂપે હિંદુ-મુસ્લિમ રમખાણો ફાટી નીકળ્યા.[૨૯]
૨૦૦૭-૧૦ દરમિયાન સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ યોજના વિકસાવવામાં આવી.
૨૦૦૮માં અમદાવાદમાં શ્રેણી બંધ બોમ્બ વિસ્ફોટો થયા જેના પરિણામે સંખ્યાબંધ લોકોના મૃત્યુ અને ઈજા થઇ.[૩૦] આંતકવાદી સંગઠન હરકત-એ-જિહાદ આ કૃત્ય પાછળ જવાબદાર હતું.[૩૧]
૨૦૦૯માં અમદાવાદ શહેરમાં બી.આર.ટી.એસ. સુવિધા શરૂ થઇ, જેને લીધે શહેરમાં માર્ગપરિવહનનું એક તદ્દન નવું માળખું અસ્તિત્વમાં આવ્યું છે અને અમદાવાદના પશ્ચિમના વિસ્તારોને સળંગ બસ સેવા દ્વારા પૂર્વના વિસ્તારો સાથે સાંકળી લેવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદની બંને દિશાના નાગરિકોનું અંતર ઘટી ગયું છે.[૩૨]
અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે ૩ ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર મુંબઈ દિલ્હી રેલવે લાઇન અને સાબરમતી નદીની વચ્ચે વસેલ છે. રેલવે લાઇનની પૂર્વે ઔધોગિક વિકાસ થથો છે જયારે નવું શહેર જે નદીની પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે.
ભૂગોળ
અમદાવાદ પશ્ચિમ ભારતમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં સમુદ્રની સપાટીથી ૫૩ મીટર (૧૭૪ ફીટ)ની ઊંચાઈએ સાબરમતી નદીના કિનારે સ્થિત છે. જે ૪૬૪.૧૬ ચો. કિમી (૧૭૯ ચો. માઇલ) જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે.[૭]
શહેર એક સૂકા અને રેતાળ વિસ્તારમાં આવેલું છે. શહેરમાં અનેક તળાવો છે, જે પૈકીનું સૌથી પ્રખ્યાત અને અમદાવાદની ઓળખ સમાન કાંકરિયા તળાવ છે. આ ઉપરાંત વસ્ત્રાપુર તળાવ, નારોલ/સરખેજ પાસે ચંડોળા તળાવ, બાપુનગરમાં લાલબહાદુર શાસ્ત્રી તળાવ, જીવરાજ પાર્કમાં મલાવ તળાવ, વટવાનું બીબી તળાવ વગેરે અન્ય મોટા તળાવો છે.
વસ્તી
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે અમદાવાદની વસ્તી ૫૬,૩૩,૯૨૭ હતી જે અમદાવાદને ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું પાંચમા ક્રમનું શહેર બનાવે છે.[૧૦] શહેરના વ્યાપને ગણતા અમદાવાદની વસ્તી ૬૩,૫૭,૬૯૩ની હતી, જે હવે ૭૬,૫૦,૦૦૦ની અંદાજીત છે, તેને ભારતમાં સાતમાં ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર (વ્યાપ સાથે) બનાવે છે.[૧૫][૩૩] શહેરની સાક્ષરતા ૮૯.૬૨%; જેમાં પુરુષો ૯૩.૯૬% અને સ્ત્રીઓની સાક્ષરતા ૮૪.૮૧% છે.[૧૦] અમદાવાદનો જાતિ ગુણોત્તર ૨૦૧૧માં ૧૦૦૦ પુરુષોએ ૮૯૭ સ્ત્રીઓનો હતો.[૧૦]
અમદાવાદનો વસ્તી વધારો | |||
---|---|---|---|
વસતી ગણતરી | વસ્તી | %± | |
૧૮૭૧ | ૧,૧૬,૯૦૦ | — | |
૧૯૦૧ | ૧,૮૫,૯૦૦ | — | |
૧૯૧૧ | ૨,૧૬,૮૦૦ | 16.6% | |
૧૯૨૧ | ૨,૭૦,૦૦૦ | 24.5% | |
૧૯૩૧ | ૩,૧૩,૮૦૦ | 16.2% | |
૧૯૪૧ | ૫,૯૫,૨૦૦ | 89.7% | |
૧૯૫૧ | ૭,૮૮,૩૦૦ | 32.4% | |
૧૯૬૧ | ૧૧,૪૯,૯૦૦ | 45.9% | |
૧૯૭૧ | ૧૯,૫૦,૦૦૦ | 69.6% | |
૧૯૮૧ | ૨૫,૧૫,૨૦૦ | 29.0% | |
૧૯૯૧ | ૩૩,૧૨,૨૦૦ | 31.7% | |
૨૦૦૧ | ૪૫,૨૫,૦૧૩ | 36.6% | |
૨૦૧૧ | ૫૬,૩૩,૯૨૭ | 24.5% | |
સ્ત્રોત:[૧૦][૩૪][૩૫] |
પરિવહન
અમદાવાદ શહેરની બી.આર.ટી.એસ. સેવા, જેની દેખરેખ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ હેઠળ ચાલી રહી છે,જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાકંપની છે. તે સેપ્ટ યુનિવર્સિટી દ્વારા રચાયેલ છે. આ સેવાનો પહેલો ભાગ જે આર.ટી.ઓ. અને પીરાણાને જોડતો બનાવેલો, જેનુ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૪ ઑક્ટોબર ૨૦૦૯ના રોજ કર્યુ હતુ. બીજો ભાગ જે ચંદ્રનગર અને કાંકરિયા તળાવને જોડતો બનાવેલો છે, સંપૂર્ણ બી.આર.ટી.એસ. સેવા હાલમાં કાર્યરત છે.
મહત્વ
- સરદાર પટેલે અમદાવાદથી રાજકીય ક્ષેત્રમાં જંપલાવ્યું હતું.
- મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના પશ્ચિમ તીરે કોચરબ આશ્રમની સ્થાપના કરી જે આજે કસ્તુરબા આશ્રમ તરીકે ઓળખાય છે અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. અંગ્રજોના શાસન કાળ દરમિયાન ગાંધીજીના લીધે અમદાવાદ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય મથક બની રહ્યું.
- ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ૧૯૨૦ માં અમદાવાદ માં કરી.
- ડો. વિક્રમ સારાભાઈ નો ઉછેર અમદાવાદમાં થયો અને સારાભાઈ ઉદ્યોગ અમદાવાદમાં વિકસ્યો. તેમના સહયોગથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર(ઈસરો), ટેક્ષટાઇલ સંશોધન કેન્દ્ર (અટીરા) અને ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (પી.આર.એલ.) અમદાવાદમાં સ્થપાયા.
- કસ્તુરભાઈ લાલભાઈ અને લાલભાઈ દલપતભાઈ જેવા ઉદ્યોગપતિઓના પ્રયત્ન અને સહયોગથી ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય (એલ. ડી. એન્જીનીયરીંગ) અને એલ. ડી. આર્ટસ કોલેજો અને બીજી સંસ્થાઓ સ્થપાઇ.
- ભારત અને એશિયાની પ્રથમ કક્ષાની સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (આઇ.આઇ.એમ.) અમદાવાદમાં આવેલી છે. તે સિવાયની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી (DA-IICT) અને પ્લાઝમા અનુસંધાન સંસ્થાન (IPR) પણ અમદાવાદમાં આવેલ છે.
- અમદાવાદ આજે અન્ય મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્હી, કોલકત્તા, ચેન્નાઈ ની સમકક્ષ બની ગયેલ છે.
- અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે, જે બી.આર.ટી.એસ, મેટ્રો તથા ઍ.ઍમ.ટી.ઍસ.ની સુવિધા ધરાવે છે.
૨૦૩૬ ઓલિમ્પિક રમતો
અમદાવાદ ૨૦૩૬ની ઓલિમ્પિક રમતોના યજમાન બનવા માટે દાવેદારી કરવાની તૈયારીમાં છે. રાજ્ય સરકારે તૈયારીનું ચોક્કસ આયોજન કર્યું છે. ઓલિમ્પિક ગેમ્સની વિવિધ રમતો અમદાવાદ અને ગાંધીનગરમાં રાખવાની યોજના છે, જ્યારે દરિયાઈ રમતો માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની પસંદગી કરવામાં આવી છે. ઓલિમ્પિક વિલેજ બનાવવા માટે ભાટ પાસેની જમીન નક્કી કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદ્ઘાટન અને સમાપન સમારોહો યોજાશે.[૩૬] [૩૭] [૩૮]
જોવાલાયક સ્થળો
|
|
|
છબીઓ
- સાબરમતી નદી પર આવેલા નવ પુલોનો એક નહેરુ પુલ, જે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડે છે.
- અમદાવાદ શહેરની એક પોળનું દ્રશ્ય
- સીદી સૈયદની જાળી
- સીદી સૈયદની જાળીએથી વીજળીઘરની દિશામાં પાડેલ છબી
- સ્વામીનારાયણ મંદિર, કાલુપુર, અમદાવાદ
હવામાન
૧૯મી મે ૨૦૧૬ના દિવસે બપોરે ૪૮ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાવાની સાથે અમદાવાદમાં તાપમાનનો છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તુટ્યો હતો. છેલ્લે ૧૭મી મે ૧૯૧૬ના દિવસે ૪૭.૮ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાયું હતું.[૩૯]
હવામાન માહિતી અમદાવાદ | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
મહત્તમ નોંધાયેલ °C (°F) | 33 (91) | 38 (100) | 41 (106) | 42.8 (109.0) | 43 (109) | 43.4 (110.1) | 39 (102) | 39 (102) | 42 (108) | 40 (104) | 38 (100) | 32 (90) | 43.4 (110.1) |
સરેરાશ મહત્તમ °C (°F) | 28.3 (82.9) | 30.4 (86.7) | 35.6 (96.1) | 39.8 (103.6) | 41.5 (106.7) | 38.4 (101.1) | 33.4 (92.1) | 31.8 (89.2) | 34.0 (93.2) | 35.8 (96.4) | 32.8 (91.0) | 29.3 (84.7) | 34.3 (93.6) |
સરેરાશ ન્યૂનતમ °C (°F) | 11.8 (53.2) | 13.9 (57.0) | 18.9 (66.0) | 23.7 (74.7) | 26.2 (79.2) | 27.2 (81.0) | 25.6 (78.1) | 24.6 (76.3) | 24.2 (75.6) | 21.1 (70.0) | 16.6 (61.9) | 13.2 (55.8) | 20.6 (69.1) |
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) | 7 (45) | 6 (43) | 10 (50) | 18 (64) | 18 (64) | 22 (72) | 22 (72) | 21 (70) | 20 (68) | 13 (55) | 10 (50) | 5 (41) | 5 (41) |
સરેરાશ વરસાદ મીમી (ઈંચ) | 2.0 (0.08) | 1.0 (0.04) | 0 (0) | 3.0 (0.12) | 20.0 (0.79) | 103.0 (4.06) | 247.0 (9.72) | 288.0 (11.34) | 83.0 (3.27) | 23.0 (0.91) | 14.0 (0.55) | 5.0 (0.20) | 789 (31.08) |
સરેરાશ વરસાદી દિવસો (≥ 0.1 mm) | 0.3 | 0.3 | 0.1 | 0.3 | 0.9 | 4.8 | 13.6 | 15.0 | 5.8 | 1.1 | 1.1 | 0.3 | 43.6 |
મહિનાના સરેરાશ તડકાના કલાકો | 288.3 | 274.4 | 279.0 | 297.0 | 328.6 | 237.0 | 130.2 | 111.6 | 222.0 | 291.4 | 273.0 | 288.3 | ૩,૦૨૦.૮ |
સ્ત્રોત: HKO[૪૦] |
આ પણ જુઓ
સંદર્ભ
બાહ્ય કડીઓ
- ગુજરાતી વિશ્વકોશમાં અમદાવાદ.
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૨૦-૦૭-૧૦ ના રોજ વેબેક મશિન
- અમદાવાદ જિલ્લા પંચાયત, અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૨૦-૦૬-૧૫ ના રોજ વેબેક મશિન