બટુકેશ્વર દત્ત

બટુકેશ્વર દત્ત audio speaker iconઉચ્ચારણ  (૧૯૧૦–૧૯૬૫) એ ૧૯૦૦ના દાયકાની શરૂઆતમાં ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રતા ચળવળના લડવૈયા હતા.[૨] ૮ એપ્રિલ ૧૯૨૯ ના દિવસે નવી દિલ્હીની સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં ભગત સિંહની સાથે મળી કેટલાક બોમ્બ ધમાકા કરવા માટે તેઓ જાણીતા છે. ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને આજીવન કેદની સજા મળી હતી. ત્યાં તેમણે અને ભગતસિંહે ભારતીય રાજકીય કેદીઓ સાથેના થનારા અપમાનજનક વર્તનનો વિરોધ કરવા ઐતિહાસિક ભૂખ હડતાલ શરૂ કરી, અને આખરે કેદીઓ માટે કેટલાક અધિકાર મેળવ્યાં.[૩] તે હિન્દુસ્તાન સોશ્યાલીસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્ય પણ હતા.

બટુકેશ્વર દત્ત
ઈ.સ. ૧૯૨૯માં બટુકેશ્વર દત્ત
જન્મની વિગત(1910-11-18)18 November 1910
ઓરી, બર્ધમાન (વર્ધમાન), બંગાળ પ્રાંત, બ્રિટિશ ભારત[૧]
મૃત્યુની વિગત20 July 1965(1965-07-20) (ઉંમર 54)
નવી દિલ્હી, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષહિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન
નૌજવાન ભારત સભા
નોંધ

જીવનચરિત્ર

બટુકેશ્વર દત્તને બી. કે. દત્ત, બટ્ટુ અને મોહન તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ ગોષ્ટા બિહારી દત્તના પુત્ર હતા. તેમનો જન્મ ૧૮ નવેમ્બર ૧૯૧૦ ના દિવસે પશ્ચિમ બંગાળમાં આવેલા પૂર્વ બર્ધમાન જિલ્લાના ઓરી ગામમાં થયો હતો. તેઓ કાનપુરની પી. પી. એન. હાઈ સ્કૂલમાંથી સ્નાતક થયા. તે ચંદ્રશેખર આઝાદ અને ભગત સિંહ જેવા સ્વતંત્રતાની લડતના લડવૈયાઓના નજીકના સાથી હતા. તેમને તેઓ કાનપુરમાં ૧૯૨૪ માં મળ્યા હતા. તેમણે હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન માટે કામ કરતી વખતે બોમ્બ બનાવવાનું શીખ્યું.[સંદર્ભ આપો]

૧૯૨૯ વિધાનસભા બોમ્બ ધડાકો

ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓના ઉદયને વશ કરવા માટે, બ્રિટીશ સરકારે ૧૯૧૫માં ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ લાગુ કરવાનો નિર્ણય કર્યો, જેનાથી પોલીસને લોકોની અટકાયત કરવાની મુક્ત સત્તા મળી. ફ્રેન્ચ ક્રાંતિકારી દ્વારા ચેમ્બર ઑફ ડેપ્યુટીઝ પર બોમ્બ ઝિંક્યાની ઘટનાથી પ્રભાવિત થઈ ભગત સિંહે હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનમાં કેન્દ્રીય વિધાનસભાની અંદર બોમ્બ ફોડવાનો પ્રસ્તાવ મૂક્યો. જેના પર સંમતિ મળી. શરૂઆતમાં એમ નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યારે ભગત સિંહ યુએસએસઆર જશે ત્યારે બટુકેશ્વર દત્ત અને સુખદેવ બોમ્બ ધમાકો કરશે. જો કે, પાછળથી આ યોજના બદલાઈ ગઈ હતી અને બટુકેશ્વર દત્ત અને ભગત સિંહને સાથે મળીને બોમ્બ ગોઠવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ૮ એપ્રિલ ૧૯૨૯ ના દિવસે, ભગત સિંહ અને દત્તે વિઝિટર ગેલેરીથી ધસીને એસેમ્બલીની અંદર બે બોમ્બ ફેંકી દીધા. બોમ્બ ધમાકાથી ધુમાડો ખંડમાં ભરાઈ ગયો અને તેઓએ "ઇન્કલાબ ઝિંદાબાદ"! નો નાદ કર્યો અને પત્રિકાની વર્ષા કરી.[૪][૫][૬] પત્રિકામાં દાવો કરવામાં આવ્યો હતો કે આ બોમ્બ ધમાકો વેપાર વિવાદો અને જાહેર સલામતી કાયદો અને લાલા લાજપતરાયની હત્યાની વિરોધમાં કરવામાં આવ્યો હતો.[૭] આ વિસ્ફોટમાં અમુક લોકોને થોડીક ઇજાઓ પહોંચી હતી પરંતુ ત્યાં કોઈ મોત નિપજ્યું ન હતું; ભગત સિંહ અને દત્તે દાવો કર્યો હતો કે આ કૃત્ય ઇરાદાપૂર્વકનું હતું.[૮] ભગત સિંહ અને બટુકેશ્વર દત્તની ધરપકડ કરવામાં આવી હતી.[૯][૧૦]

મુકદ્દમો

સિંહ અને સુખદેવની સાથે, દત્ત પર સેન્ટ્રલ એસેમ્બલી (કેન્દ્રીય વિધાનસભા)માં બોમ્બ ફેંકવાના કેસમાં મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો, અને તેમને ઈ.સ. ૧૯૨૯ માં દિલ્હીના સેશન્સ ન્યાયાધીશ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમની કલમ ૪ હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી. તેમને સેલ્યુલર જેલ, અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ પર મોકલી દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

છેલ્લા દિવસો

જેલમાંથી છૂટ્યા પછી દત્તને ક્ષય રોગ થયો. તેમ છતાં તેમણે મહાત્મા ગાંધીના ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો અને ફરીથી ચાર વર્ષ જેલમાં ગયા. તેમને મોતીહારી જેલમાં (બિહારના ચંપારણ જિલ્લામાં) બંદી બનાવવામાં આવ્યા હતા. ભારતને આઝાદી મળ્યા પછી, તેમણે નવેમ્બર ૧૯૪૭ માં અંજલિ સાથે લગ્ન કર્યા. સ્વતંત્ર ભારતે તેમને કોઈ માન્યતા આપી ન હતી, અને તેમણે પોતાનું બાકીનું જીવન રાજકીય ચમકથી દૂર ગરીબીમાં વિતાવ્યું હતું. આ સ્વતંત્રતા સેનાનીનું પાછળનું જીવન પીડાદાયક અને દુ:ખદ હતું. ક્ષય રોગને કારણે જેલમાંથી છૂટી થયેલા આ સેનાનીનું સ્વતંત્ર ભારતમાં મૂલ્ય નહોતું, નિરાધારતાને તેમને વળગી રહી. તેમને આજીવિકા માટે પરિવહનનો ધંધો શરૂ કરવાની ફરજ પડી હતી. દત્તે તેના બધા સાથીદારો પછી જીવ આપ્યો અને ૨૦ જુલાઈ ૧૯૬૫ ના દિવસે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લાંબી માંદગી પછી તેનું અવસાન થયું. તેમની અંત્યવિધી પંજાબના ફિરોઝપુર નજીક આવેલા હુસૈનીવાલામાં કરવામાં આવી, જ્યાં ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા તેમના અન્ય સાથીઓની અંત્ય વિધિ કરવામાં આવી હતી. તેમને એક પુત્રી હતી, જેનું નામ ભારતી દત્ત બાગચી છે.[૧૧] તે પટનાના જક્કનપુર વિસ્તારમાં તેમનું ઘર આવેલું છે.

માન્યતા

નવી દિલ્હીની બી કે દત્ત કોલોની, સફદરજંગ વિમાનમથકની સામે અને જોર બાગને અડીને આવેલા મુખ્ય સ્થાન પર સ્થિત છે, તેનું નામ બટુકેશ્વર દત્તના નામ પરથી નામ આપવામાં આવ્યું છે. તે એન.ડી.એમ.સી. વિસ્તારમાં એઈમ્સની સૌથી નજીકની ખાનગી રહેણાંક વસાહત છે.

ફિલ્મ ધ લિજેન્ડ ઑફ ભગત સિંહમાં ભાસ્કર ચેટરજીએ બટુકેશ્વર દત્તની ભૂમિકા ભજવી હતી.

અનિલ વર્માએ બટુકેશ્વર દત્ત: ભગતસિંહ કે સહયોગી નામનું પુસ્તક લખ્યું હતું, જે દત્તના જન્મની શતાબ્દી પર પ્રકાશિત કરાયું હતું. ભારત સરકારની પ્રકાશન સેવા, રાષ્ટ્રીય બુક ટ્રસ્ટ દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરાયું હતું. બટુકેશ્વર દત્ત પર કોઈ પણ ભાષામાં પ્રકાશિત થયેલું આ પહેલું પુસ્તક છે

નોંધો