હરીશ નાગ્રેચા
હરીશ નાગ્રેચા (૨૫ ડિસેમ્બર, ૧૯૩૪ – ૨૨ જુલાઈ, ૨૦૦૯) એ ગુજરાતી ભાષાના લેખક હતા.
હરીશ નાગ્રેચા | |
---|---|
જન્મ | જોડિયા, જામનગર, ગુજરાત | 25 December 1934
મૃત્યુ | 22 July 2009 |
વ્યવસાય | ટૂંકી વાર્તા લેખક, નાટ્યલેખક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | બી. એ., ડીપ્લોમા ઇન જર્નાલિઝમ. |
માતૃ શિક્ષણ સંસ્થા | ભારતીય વિદ્યા ભવન |
નોંધપાત્ર સર્જનો |
|
જીવન પરિચય
હરીશ નાગ્રેચાનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ પાકિસ્તાનના કરાચી ખાતે[૧] લોહાણા પરિવારમાં થયો હતો.[૨] તેમનું વતન ગુજરાતના જામનગર જિલ્લાનું જોડિયા ગામ હતું.[૩] તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ કરાચી ખાતે પૂર્ણ કર્યું હતું અને સ્વતંત્રતા બાદ ભારત વિભાજન થતાં તેઓ કરાચી છોડી મુંબઈ આવી ગયા હતા. તેમણે મુંબઈ ખાતે ૧૯૬૪માં આંકડાશાસ્ત્રમાં બી.એ. તથા ભારતીય વિદ્યા ભવનમાંથી ડિપ્લોમા ઈન જર્નાલિઝમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.[૨][૪]
૨૨ જુલાઈ, ૨૦૦૯ના રોજ તેમનું અવસાન થયું હતું.[૩]
સાહિત્યિક સર્જન
નાગ્રેચા એક નાટ્યકાર અને ટૂંકી વાર્તા લેખક હતા. તેમનો પહેલો વાર્તા સંગ્રહ તૂ બોલ ને! ૧૯૯૦માં પ્રકાશિત થયો હતો. અને છતાં પણ… (૧૯૯૮), હેલો સૂર્યા (૨૦૦૨)[૪] અને એક ક્ષણનો ઉન્માદ (૨૦૦૭) તેમના અન્ય વાર્તા સંગ્રહો છે.[૨][૩] તેમણે ૧૯૯૯માં પોતાનું પ્રથમ નાટક એક લાલની રાણી લખ્યું હતું. ખોડિયો સૂરજ (૨૦૦૦) એકાંકી નાટક હતું. મેઘધનુષનો મહેલ (૨૦૦૫) અને ટેરવે અટક્યા બોલ (૨૦૦૭) તેમના અન્ય નાટકો છે. દસ્તો… પિંજર… ખાલ… કબુતર (૨૦૦૫) એક ટેલિપ્લે[upper-alpha ૧] હતો.[૨][૩]
સન્માન અને પુરસ્કાર
૧૯૬૭માં તેમને કુમાર તરફથી શ્રેષ્ઠ વાર્તાનો પુરસ્કાર મળ્યો હતો. ૧૯૯૯માં તેમના વાર્તા સંગ્રહ અને છતાં પણ… માટે ધૂમકેતુ નવલિકા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હેલો સૂર્યા માટે નંદશંકર ચંદ્રક અને વાર્તા સંગ્રહ એક ક્ષણનો ઉન્માદ માટે ઉમા-સ્નેહરશ્મી પુરસ્કાર (૨૦૦૬-૦૭) એનાયત થયો હતો.[૨]
તેમના નાટકો એક લાલની રાણી અને દસ્તો… પિંજર… ખાલ… કબુતરને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ખોડિયો સૂરજને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું. ટેરવે અટક્યા બોલને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું હતું.[૪]