જીવવિજ્ઞાન એ વિવિધ જીવતંત્રોના અભ્યાસની વિદ્યા છે.
ઉપર: ઈ.કોલી બેક્ટેરીયા અને ગઝલી હરણ.
નીચે: ગોલિયાથ બિટલ (ઢાલિયું જીવડું) અને વૃક્ષની પાંદડીઓ.
જીવવિજ્ઞાન એ જીવન અને જીવતંત્રના બંધારણ, કાર્યશૈલી, વિકાસ, ઉત્ક્રાંતિ, વિતરણ, ઓળખ અને વર્ગીકરણ સંબંધીત કુદરતી વિજ્ઞાન છે.[૧]
આધુનિક જીવવિજ્ઞાન વિવિધ શાખાઓ ધરાવતું ઘણું જ વિસ્તૃત વિજ્ઞાન છે. લેટિન ભાષામાં "જીવવિજ્ઞાન (Biology)" એવો શબ્દ પ્રયોગ સૌ પ્રથમ વખત ઈ.સ. 1736માં કાર્લ લિનૌશ નામના સ્વિડીશ વૈજ્ઞાનિકે કર્યો હતો. જો કે ભારતીય ઉપખંડ, ચીન, મેસોપોટેમીયા, ઇજિપ્ત વગેરેની પ્રાચીન સભ્યતાઓમાં આ જ શાસ્ત્ર સાથે સંબંધીત એવા વિવિધ શાસ્ત્રોનો 'કુદરતના તત્વજ્ઞાન' તરીકે અભ્યાસ થયેલો જ હતો. આધુનિક જીવવિજ્ઞાને તે જ્ઞાનમાં પુષ્કળ વિકાસ સાધ્યો છે. તદ્ઉપરાંત, આધુનિક જીવવિજ્ઞાન અને તેના કુદરતના અભ્યાસના વલણનાં મૂળ છેક પ્રાચીન ગ્રીસના ઔષધીય અભ્યાસ સમેતનાં વિવિધ સંશોધનો સુધી પહોંચે છે.[૨][૩]
એન્તોન વાન લ્યુવેનહોક દ્વારા સુક્ષ્મદર્શક યંત્રમાં સુધારાઓ પછી તો જીવવિજ્ઞાન શાખાનો ઝડપી વિકાસ થયો છે.[૪] આ પછી જ, એટલે કે 19મી સદીની શરૂઆતમાં, ઘણાં જીવવિજ્ઞાનીઓએ કોષનાં મધ્યવર્તી મહત્વ તરફ અંગૂલીનિર્દેશ કર્યો હતો. પછી 1838માં જીવતંત્રનાં બંધારણનો પાયાનો એકમ કોષ છે એવા વૈશ્વિક વિચારનો ઉદ્ભવ અને પ્રચાર થયો.[૫][૬]