મહાન ગ્રીક તત્ત્વજ્ઞાની તથા પ્લેટોના ગુરુ સોક્રેટિસ (/ˈsɒkrətiːz/;[૧] અંગ્રેજી:ˈsɑkrətiːz; ગ્રીક: Σωκράτης, Sōkrátēs; ૪૬૯ ઈ.પૂ.–૩૯૯ ઈ.પૂ.[૨]) પશ્ચિમી તત્વજ્ઞાન ના પ્રણેતા માનવામાં આવે છે. સોક્રેટિસનો જન્મ ડેમ, એલોપેસ, પ્રાચીન એથેન્સમાં ઈ.પૂ. ૪૬૯માં થયો હતો. ૩૯૯ ઈ.પૂ. આશરે ૭૧ વર્ષની આયુએ પ્રાચીન એથેન્સમાં તેમનું અવસાન થયું. તેઓ પાશ્ચાત્ય દર્શનશાસ્ત્ર કે તત્ત્વચિંતનનાં પ્રણેતાઓમાંના એક ગણાય છે.
જીવન
સોક્રેટિસ વિશેની આધારભૂત માહિતીઓનો અભાવ હોવાથી તેમના જીવન અને કાર્ય અંગે સુનિશ્ચિત માહિતી મળતી નથી. તેમ છતાં, તેમના બે શિષ્યો ઝેનોફોન અને પ્લેટો દ્વારા આપણને સોક્રેટિસ વિશે માહિતી મળે છે.
સોક્રેટિસનો જન્મ ગ્રીસના એથેન્સ નગરમાં ઈ.સ. પૂર્વે ૪૬૯ની સાલમાં થયો હતો. તેમના પિતા શિલ્પી હતા અને માતા દાયણ હતાં. ઉંમરલાયક થતાં તેઓ પિતાના શિલ્પકામના કામમાં જોડાયા, પરંતુ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનમાં રસ જાગતાં તેમણે શિલ્પકામ છોડી દીધું અને ચિંતનમાં સમય ગાળવા લાગ્યા.[૩]
મૃત્યુ
સોક્રેટિસ સોફિસ્ટો (કે જે સંપ્રદાયના અનુયાયીઓ ધર્મમાં માનતા ન્હોતા) ની જેમ અધાર્મિક માણસ છે - એવી વાત ફેલાવીને તેમની ઉપર ત્રણ આરોપ મૂકવામાં આવ્યા હતા: (૧) સોક્રેટિસ રાજ્યના દેવોને માનતા નથી, (૨) નવા દેવોની સ્થાપના કરે છે અને (૩) એથેન્સના યુવાનોને અવળા માર્ગે દોરે છે. આ તહોમતનામું ઘડવામાં રાજદારી પુરુષ એનિટસ અને કવિ મિલેટસ એમ બે વ્યક્તિઓએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. આ તહોમતો અંગે ન્યાયાલયમાં સોક્રેટિસ સામે મુકદ્દમો ચલાવ્યા બાદ અંતે સોક્રેટિસને ધતૂરાનું ઝેર પીવડાવીને મારી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.[૩]
છેલ્લા શબ્દો
સોક્રેટિસે મૃત્યુ પહેલા છેલ્લે ક્રીટોને સંબોધન કરેલું. તેમને ક્રીટૉને કહેલુ: (ગુજરાતી ભાષાંતર)
"ક્રીટો, એસ્ક્લિપિયસ પાસેથી મેં એક મરઘો ઉછીનો લીધો છે. તેને આ કરજ ચૂકવવાનું ભૂલતા નહિ."[૩]