ભારતીય ઉપખંડ પર તેના ઇતિહાસમાં ઘણા અલગ અલગ શાસકોએ રાજ્ય કર્યું છે. દરેક રાજકર્તાએ પોતાની રીતે વહિવટી વિભાગો પાડેલ હતા. આધુનિક ભારતનાં હાલનાં વિભાગો તેનાં સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અને કરાયેલ છે. જેની શરૂઆત બ્રિટિશ શાસનકાળથી થયેલ. બ્રિટિશ ભારતમાં હાલનું ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તથા અફઘાનિસ્તાન અને તેનાં પ્રાંતો, બર્મા (મ્યાનમાર)ની વસાહતો વિગેરેનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન,ભારતનું શાસન સીધું અંગ્રેજોનાં કે પછી સ્થાનિક રાજાઓનાં હાથમાં હતું. ૧૯૪૭ માં આઝાદી વખતે પંજાબ તથા બંગાળનાં પ્રાંતોનું, ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટાપાયે વિભાજન થયું,અને તે દરમિયાન તેમનાં વહિવટી વિભાગોને સુરક્ષિત રાખવાનું તથા ઘણાં બધાં રજવાડાંઓને ભારતસંઘમાં ભેળવવાનું, એ નવા રાષ્ટ્ર માટે પડકાર રૂપ કાર્ય હતું.
જો કે સ્વતંત્રતા બાદ તુરંત ભારતમાં અસ્થિર પરિસ્થિતીઓ ઉત્પન્ન થઇ. બ્રિટિશરો દ્વારા રચાયેલાં ઘણાં પ્રાંતો તેમનાં ઉપનિવેશીય હેતુ માટેનાં હતાં,અને તે ભારતીયોની ઇચ્છાનું પ્રતિબિંબ પાડતાં નહોતાં કે ન તો તે જાતીય કે ભાષાકીય રીતે અનુકુળ હતાં. આ જાતીય અને ભાષાકીય તણાવને કારણે ભારતની સંસદને ૧૯૫૬માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમ બનાવી અને નવેસરથી જાતીય અને ભાષાકીય ધોરણે રાજ્યોની રચના કરવાનું કારણ મળ્યું.
સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ બ્રિટીશ પ્રાંતો તથા દેશી રાજ્યોને એકીકૃત કરીને ભારતમાં રાજ્યોને ચાર શ્રેણીમાં વિભાજીત કરાયા હતા.[૭]
૨૭ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સંવિધાન સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદએ અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ એસ.કે.દરની અધ્યક્ષતામાં ચાર સભ્યોના એક આયોગની રચના કરી. આયોગે તેનો રિપોર્ટ ડિસેમ્બર ૧૯૪૮માં સુપ્રત કર્યો. રિપોર્ટમાં જણાવાયું કે રાજ્યોના ગઠનનો આધાર ભાષાકીય ન હોવો જોઈએ. રાજ્યોના ગઠનનો આધાર ભૌગોલિક રચના, આર્થિક નિર્ભરતા, પ્રશાસનિક સુગમતા અને વિકાસની ક્ષમતા પર હોવો જોઈએ. ત્યારબાદ ૨૨ ડિસેમ્બર ૧૯૫૩ના રોજ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ ફજલ અલીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કરવામાં આવી. પંડિત એચ.એન.કુંજરૂ અને સરદાર કે.એમ.પાણિક્કર તેના સભ્યો હતા. આયોગે ૩૦ ડિસેમ્બર ૧૯૫૫માં સુપ્રત કરેલા તેના રિપોર્ટમાં જણાવ્યું કે ચાર શ્રેણીમાં વિભાજીત રાજ્યોને વિભાજીત કરી તેમાથી ૧૬ નવાં રાજ્યો તથા ૩ કેન્દ્રશાસિત પ્રદેશોનું નિર્માણ કરવું જોઈએ.આયોગની ભલામણોનો સ્વીકાર કરીને ૧૯૫૬માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, ૧૯૫૬ પસાર કરવામાં આવ્યો. આ અધિનિયમ અંતર્ગત ભારતમાં ૧૪ રાજ્યો અને ૫ કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. આ ચૌદ રાજ્યોમાં મધ્યપ્રદેશ, મદ્રાસ, મૈસૂર, આંધ્ર પ્રદેશ, અસમ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મુંબઈ, જમ્મુ-કાશ્મિર, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉડિસા તથા પંજાબ તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, ત્રિપુરા, મણિપુર અને અંડમાન નિકોબાર દ્વીપસમૂહનો સમાવેશ થાય છે.[૭]
આયોગની ભલામણોના આધાર પર નીચેના રાજ્યોનું ગઠન કરવામાં આવ્યું.[૭]
નાગાલેન્ડ રાજ્ય અધિનિયમ, ૧૯૬૨ દ્વારા અસમ રાજ્યના કેટલાક ક્ષેત્રને અલગ કરી રચના કરવામાં આવી. જેમાં “નાગા પહાડી અને ત્યુએનસાંગ ક્ષેત્ર”નો પણ સમાવેશ કરવામાં આવ્યો. (૧/૨/૧૯૬૪)
સંસદ દ્વારા અનુચ્છેદ ૩૭૦ નાબુદ કરી જ્મ્મુ-કાશ્મીરનો વિશેષ સંવૈધાનિક દરજ્જો સમાપ્ત કરી જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ (કારગિલ સહિત) એમ બે પૃથક કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. (૫/૮/૨૦૧૯)